કુલભૂષણને છોડવાની ભારતની અરજી નકારવાની પાક.ની માગ આંતરરાષ્ટ્રીય કોર્ટે ફગાવી
- પુલવામા હુમલા બાદના વિવાદ વચ્ચે પાકિસ્તાનને વધુ એક ફટકાર
- આ વર્ષે ઉનાળામાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા, ભારતની દલીલો અંગે પણ વિચારશે
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર
કુલભુષણ જાધવનો કેસ હાલ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન બન્ને દલીલો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને એક મોટો ફટકો પડયો છે. પાકિસ્તાને ભારતની અરજીને અને માગણીને રદ કરવા માટે આ કોર્ટમાં અપીલ કરી હતી, જોકે કોર્ટે પાકિસ્તાનની આ અરજીને ફગાવી દીધી છે.
જેને પગલે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ ફટકો પડયો છે. હાલ પુલવામા મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધી ગયો છે. આ સ્થિતિ વચ્ચે જ આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ફટકાર લાગી છે. કોર્ટે પાકિસ્તાનની દલીલોને ફગાવી દીધી હતી અને અરજીને રદ કરી દીધી હતી.
જ્યારે કોર્ટમાં બન્ને બાજુથી ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના એટર્ની જનરલે નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલનું નામ લીધુ હતું. જ્યારે પાકિસ્તાને હુમલાખોરોને પણ સમર્થન આપી ભારત પાસે પુરાવાની માગણીનું નાટક કર્યું હતું.
જ્યારે કોર્ટમાં દલીલ ચાલી રહી હતી ત્યારે પણ જજે વકીલને કહ્યું હતુ કે તમે ધીરે ધીરે બોલો, આ રીતે ઉંચા જવાનો ન બોલો જેથી અમને પણ તમારી વાત સમજાય. ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભુષણ જાધવનું પાકિસ્તાને અપહરણ કરી લીધુ હતું જે બાદ દાવો કર્યો હતો કે કુલભુષણ બલુચિસ્તાનમા આતંકી હુમલા માટે આવ્યા હતા.
ભારતે આ દાવાઓને નકર્યા છે અને સાથે માગણી કરી હતી કે તાત્કાલીક ધોરણે કુલભુષણને પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવે. જ્યારે પાકિસ્તાને માગણી કરી હતી કે ભારતની આ અરજીને ફગાવી દેવામાં આવે, જેને આંતરરાષ્ટ્રીય કોર્ટે માન્ય નહોતી રાખી. આ પરિસ્થિતિ વચ્ચે ભારતે પણ પોતાની દલીલ કરી હતી અને તાત્કાલીક ધોરણે કુલભુષણ જાધવને છોડી મુકવા માટે કોર્ટને અપીલ કરી હતી.
કુલભુષણ જાધવ પર સૈન્ય કોર્ટની ટ્રાયલ ચાલી હતી અને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જેને પગલે ભારતે એવી દલીલ કરી હતી કે પાકિસ્તાનની સૈન્યની કોર્ટમાં ચાલેલો કેસ માન્ય નથી.