Pics: રામેશ્વરમને જોડતા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ- ન્યૂ પંબન બ્રિજનું કામકાજ 84% પૂર્ણ
Updated: Dec 2nd, 2022
નવી દિલ્હી,તા. 2 ડિસેમ્બર 2022,શુક્રવાર
ભારતીય રેલવે પણ હવે દિવસ ને દિવસે હાઈટેક બની રહ્યું છે. NHAIની સાથે-સાથે રેલવે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ હારમાળામાં જલ્દી જ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ જોડાવા જઈ રહ્યો છે.
ભારતીય રેલવેએ જણાવ્યું છે કે આ બ્રિજનું કામકાજ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. પમ્બન ટાપુના પવિત્ર યાત્રાધામ રામેશ્વરમને ભારતની ભૂમિ સાથે જોડતા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ - ન્યૂ પમ્બન બ્રિજનું 84 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે આ કામકાજ ડિસેમ્બર, 2021માં પૂર્ણ થવાનું હતુ પરંતુ કોરોના મહામારીના કારણે સમગ્ર યોજના ખોટકાઈ હતી.
રેલવેએ કહ્યું કે “ટ્રેક નાખવાનું કામ ચાલુ છે અને વર્ટિકલ લિફ્ટ સ્પાન ગર્ડરનું ફેબ્રિકેશન કામ પૂર્ણતાને આરે છે. પુલના રામેશ્વરમ છેડે વર્ટિકલ લિફ્ટ સ્પાન માટે એસેમ્બલિંગ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે,” .
શું ખાસ છે આ નવા પમ્બન બ્રિજમાં....
1 . આ પુલ આઇકોનિક પમ્બન બ્રિજનું રિપ્લેસમેન્ટ હશે. ભારતનો પ્રથમ દરિયાઇ પુલ 1914માં ખુલ્યો હતો.
2 . પુલની કુલ લંબાઈ 2.078 કિલો મીટર છે અને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 279.63 કરોડ છે.
3 . રેલ વિકાસ નિગમ લિમિટેડ અનુસાર બ્રિજ પર કામ ફેબ્રુઆરી 2020માં શરૂ થયું હતું અને ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ હતો પરંતુ કોરોના મહામારીના કારણે આ કામ અટવાયું હતુ અને વિલંબ થયો છે. નવા બ્રિજની ખાસિયત તેનો 72-મીટર-લંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જેને 17 મીટર સુધી ઉંચો કરીને વહાણો તેની નીચેથી પસાર થઈ શકે છે.
4 . જ્યારે વર્તમાન બ્રિજમાં 'Scherzer' રોલિંગ લિફ્ટ ટેક્નોલોજી છે, જેમાં બ્રિજ હોરિઝોન્ટલી ખુલે છે. જહાજોને ત્યાંથી પસાર થવા માટે નવો બ્રિજ ડેકની સમાંતર બાકી રહીને ઊભી રીતે ઉપરની તરફ ખુલશે. બ્રિજના દરેક છેડે સેન્સરનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
5 . નવો પુલ ટ્રેનોને વધુ ઝડપે ચલાવવામાં, વધુ વજન વહન કરવામાં અને રામેશ્વરમ અને ધનુષકોડી મંદિરો સુધી ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો આપવામાં મદદ કરશે.