કોંગ્રેસે આગામી ચૂંટણીનુ સ્લોગન પસંદ કરવા માગ્યા 15 લાખ કાર્યકરોના સૂચનો
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી, તા. 23. ફેબ્રુઆરી 2019 શનિવાર
લોકસભાની આગામી ચૂંટણીમાં પીએમ મોદીને હરાવવા માટે કયો નારો હોવો જોઈએ તેનુ સૂચન કોંગ્રેસ દ્વારા કાર્યકોર પાસે માંગવામાં આવ્યુ છે.
એક કોંગ્રેસી આગેવાને કહ્યુ હતુ કે કોંગ્રેસનો આગામી ચૂંટણી માટે કયો નારો હશે તેના સૂચનો કાર્યકરો પાસે મંગાવવાની કવાયત 20 ફેબ્રુઆરીથી શરુ કરી દેવાઈ છે.
રાજકીય પાર્ટીઓ માટે મતદારોને આકર્ષવા માટે ચૂંટણી નારો બહુ મહત્વનો સાબીત થતો હોય છે.જેમ કે 1971માં કોંગ્રેસે "ગરીબી હટાવો" નારાનો ઉપયોગ કર્યો હતો.2014માં પીએમ મોદીએ "અચ્છે દિન આનેવાલે હૈ" નારાને આખા દેશમાં ગૂંજતો કરી દીધો હતો.
હવે કોંગ્રેસ આ જ પ્રકારનો અસરકારક નારો પસંદ કરવા કાર્યકરોની સલાહ લઈ રહી છે.આ માટે 393 લોકસભાના 15 લાખ કાર્યકરોના ફીડબેક લેવામાં આવી રહ્યા છે.
મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસ કાર્યકરો પાસેથી જે નારા મળી રહ્યા છે તેમાંથી 6800 નારાને શોર્ટ લિસ્ટ પણ કરાયા છે.જેમાંથી 10 થી 12 સ્લોગનને ચૂંટણી પ્રચાર પહેલા અંતિમ સ્વરુપ આપવા ચર્ચા થશે.
જે સ્લોગન કાર્યકરોએ આપ્યા છે તેમાં "આપ કે સાથ", "યુગ કી આવાજ" જેવા સ્લોગનનો પણ સમાવેશ થાય છે.