લાંબી માંદગી બાદ મહાન સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરે નિધન
Updated: May 10th, 2022
નવી દિલ્હી,તા. 10 મે 2022,મંગળવાર
દિગ્ગજ ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મંગળવારે નિધન થયું છે. 84 વર્ષના મહાન સંગીતકારે આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા.
છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પંડિત
શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં 'શિવ-હરિ' (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત 'મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં'નું સંગીત આ હિટ જોડીએ જ કમ્પોઝ કર્યું હતું.
દુર્ગા જસરાજે અર્પી શ્રદ્ધાંજલી
નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આજે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી દુખદાયી ક્ષણ છે.
સરકારી નોકરી ઈચ્છતા હતા પિતા :
અત્રે ઉલ્લેખનીય છે કે પંડિતજીના પિતા ઈચ્છતા હતા કે પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અથવા શ્રીનગરમાં AIRમાં કામ કરે. તેઓ ઈચ્છતા હતા કે સરકારી નોકરી દ્વારા ભવિષ્ય સુરક્ષિત કરે પરંતુ પંડિતજીની મનશા કઈંક અલગ જ હતી. એકવાર તે ઘર છોડીને માત્ર એક સંતૂર અને ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા લઈને બોમ્બે આવ્યા અને આજે તેઓ દુનિયામાં અલગ છાપ છોડીને ગયા છે. તેમણે પોતે જ ઈન્ટરવ્યુમાં આ આ વાત કહી હતી.