અમેરિકાના વિવિધ શહેરોમાં પુલવામાના શહીદોને શ્રદ્વાંજલિ આપવા મોટી સંખ્યામાં ભારતીયો એક્ત્ર થયા
ભારતીય મૂળના અમેરિકનોએ પુલવામા હુમલા અંગે રોષ પ્રગટ કર્યો
શિકાગો, વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, સિલિકોન વેલી, લોસ એન્જેલસ, ડેટ્રોઇટ, હ્યૂસ્ટનમાં કાર્યક્રમોનું આયોજન
Updated: Feb 19th, 2019
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૯
ભારતીય મૂળના અનેક અમેરિકનો જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલા અંગે દુઃખ અને નારાજગી વ્યક્ત કરવા અમેરિકાના વિવિધ શહેરોમાં એક્ત્ર થયા હતાં.
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતાં.
આ હુમલાને કારણે બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે અને બંને દેશોએ એકબીજાના દેશોમાંથી પોતપોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે.
પોતાનો રોષ પ્રગટ કરવા માટે અનેક અમેરિકન ભારતીયો શિકાગોની બાહ્ય સરહદ પર બનેલા ૨૬/૧૧ સ્મારક પાસે એકત્ર થયા હતાં. આવા જ પ્રકારના કાર્યક્રમોનું આયોજન વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, સિલિકોન વેલી, લોસ એન્જેલસ, ડેટ્રોઇટ, હ્યૂસ્ટન અને ફિનિક્સમાં પણ કરવામાં આવ્યું હતું.
એકત્ર થયેલા લોેકોએ વિશ્વના તમામ દેશોને આવા હુમલા કરનારા આતંકીઓ સામે લડવા અમેરિકા અને ભારતને સહકાર આપવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે વાંચવામાં આવેલા સંયુક્ત પ્રસ્તાવમાં પાકિસ્તાનને જણાવવામાં આવ્યું છે કે તે તેની જમાીન પરથી થતી આતંકી પ્રવૃત્તિઓમાં સહકાર આપવાનું ભંધ કરે.
ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે તે ભારતીય સુરક્ષાકર્મીઓની શહાદત પર શોક પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ કાયરોનું કૃત્ય છે. આપણે આતંકવાદની સામે મજબૂત સંકલ્પ કરવો પડશે.
આતંકવાદનો ખતરો ભારતીય, અમેરિકનો અને વિશ્વના લોકોની ઇચ્છાશક્તિથી વધારે મોટું નથી. આપણી ઇચ્છાશક્તિ વધારે મજબૂત છે. આપણે દ્રઢતાથી આતંકવાદનો સામનો કરીશું.
રાજા કૃષ્ણામૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જંયતિના આ વર્ષમાં આપણે અહિંસક અને શાંતિપ્રિય બની રહીશું અને એ લોકોને ભેટવા હંમેશા તૈયાર રહીશું જે આપણી સાથે શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવા માગે છે. આપણે આપણો બચાવ કરીશું પણ ચરિત્ર બદલીશું નહીં.