ભારત પુલવામા હુમલાના પુરાવા મિત્ર દેશોને આપીને પાકિસ્તાનને ખુલ્લું પાડશે
- અગાઉ પુરાવા આપ્યા હોવા છતાં પાકે. આતંકીઓ સામે કોઇ પગલા નથી લીધા
- ૨૦૦૮માં મુંબઇ, બાદમાં પઠાણકોટ, ઉરી હુમલાના પુરાવા પણ પાકિસ્તાને માગ્યા હતા
Updated: Feb 20th, 2019
પાક.માં સક્રિય જૈશ-એ-મોહમ્મદ હુમલાની જવાબદારી લઇ ચુક્યું છે તેનાથી મોટો પુરાવો શું હોઇ શકે : જેટલીની ઇમરાનને ફટકાર
નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
પાકિસ્તાન પહેલા ભારતમાં હુમલા કરાવે છે જ્યારે બાદમાં પુરાવા માગે છે. આ સ્થિતિ વચ્ચે પુલવામા હુમલો કરાવ્યો અને હવે ઇમરાન ખાન તેમાં પાક.ના આતંકીઓનો હાથ હોવાના પુરાવા માગી રહ્યા છે,
આ સ્થિતિ વચ્ચે ભારતે અગાઉ પણ અનેક વખત પુરાવા આપ્યા હોવા છતા પાકિસ્તાન કોઇ પગલા નથી લઇ રહ્યું. જેને પગલે હવે ભારત કોઇ પણ પ્રકારના પુરાવા પાકિસ્તાનને ન આપે તેવી શક્યતાઓ છે.
જોકે આ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ હતો તે પુરાવા પાકિસ્તાને નહીં પણ એવા દેશોને આપવામાં આવશે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલે ભારતને મદદરુપ થાય તેમ હોય. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થઇ શકે છે કેમ કે થોડા દિવસ પહેલા જ અમેરિકાએ પણ પુલવામા હુમલાની નિંદા કરી હતી અને પાક.ને આતંકવાદ ખતમ કરવા કહ્યું હતું.
સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને હવે ભારત પાકિસ્તાનને પુરાવા આપવાને બદલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને ખુલ્લુ પાડશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને પુરાવા આપવાનો સવાલ જ નથી ઉપસ્થિત થશો કેમ કે અગાઉ અનેક પુરાવા આપી ચુકીઆ છીએ.
આ પુરાવા ભારતના જે મીત્ર દેશો છે તેમને આપવામાં આવશે. ૨૦૦૮માં જ્યારે મુંબઇ હુમલો થયો ત્યારે પાકિસ્તાનથી જ આતંકીઓ આવ્યા હતા અને તેના પુરાવા પણ ભારતે પાકિસ્તાનને સોપ્યા હતા.
જોકે પાકિસ્તાને એ પુુરાવાનું કઇ જ ન કર્યું, તેવી જ રીતે પઠાણકોટ હુમલામાં તો પાકિસ્તાનની એક તપાસ ટીમ ભારત આવી હતી, જેનો રિપોર્ટ પણ હજુ પાકિસ્તાનમાં ધુળ ખાય છે. ઉલટા એવા દાવા કરે છે કે ભારતીય ટીમ આ મામલે યોગ્ય પુરાવા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છે.
આ સ્થિતિ વચ્ચે ભારત હવે એવા દેશોને આ પુરાવા આપશે કે જે મિત્ર દેશ હોય, નાણા પ્રધાન અરુણ જેટલીએ ઇમરાન ખાનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે પુલવામા હુમલાની જવાબદારી જાહેરમાં જૈશ-એ-મોહમ્મદ લઇ ચુક્યું છે, આનાથી વિશેષ પુુરાવો બીજો શું હોઇ શકે છે. અને હાલ આ આતંકી સંગઠનનો આકા પાકિસ્તાનમાં છે.