પેશાવરની રેલીમાં મસૂદે ખુલ્લેઆમ ભારત પર હુમલાની ધમકી આપી હતી, જાણો શું કહ્યું હતું
Updated: Feb 20th, 2019
નવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર
પુલવામાના આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મહોમ્મદનો મુખિયા અને કુખ્યાત આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રેલીઓ અને સભાઓ કરી રહ્યો છે અને પાક પોલીસ તેમજ સેના તેને પ્રોટેક્શન આપી રહી છે.
પ ફેબ્રુઆરીએ અને 10 ફેબ્રુઆરીએ મૌલાના મસૂદ અઝહરે પેશાવરમાં એક રેલીને સંબોધન કર્યુ હતુ.જેમાં ભારત સામે ઝેર ઓકતા તેણે કહ્યુ હતુ કે મારો ઈરાદો કાશ્મીર જ નહી દિલ્હી પર પણ હુમલો કરવાનો છે.હમણા ભલે આપણા ભાષણને કોઈ મીડિયા બતાવતુ ના હોય, ભલે હિન્દુસ્તાનને અત્યારે કોઈ ફરક પડતો ના હોય પણ કાલે હિન્દુસ્તાનના તમામ મીડિયા પર પ્રાઈમ ટાઈમમાં જો કોઈ ખબર દેખાતી હશે તો તે જૈશ એ મહોમ્મદની હશે.
મસૂદ અઝહરની મૂળ યોજના 6 ફેબ્રુઆરીએ જ સીઆરપીએફના કાફલા પર હુમલો કરાવવાની હતી પણ ભારે બર્ફવર્ષના કારણે આ પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો.
મસૂદ અઝહરે જોકે આગલા દિવસે પોતાના ભાષણમાં આગળ કહ્યુ હતુ કે જૈશના સભ્યોએ શ્રીનગરથી કુપવાડા સુધી ગ્રેનેડ હુમલા કરીને એલાન કર્યુ છે કે અમે કાશ્મીરીઓની સાથે છે.કાલે તેમની લાશોને તડપાવીને એલાન કરીશું કે અમે કાશ્મીરીઓની જોડે છે.જ્યાં સુધી કાશ્મીરીઓનો હુર્રિયત નારો છે ત્યાં સુધી તેમની સાથે અમારો નાતો છે.
આ રેલીમાં પોલીસ અને સેનાના જવાનો સ્પષ્ટપણે આતંકવાદીઓને રક્ષણ આપતા જોવા મળ્યા હતા.તેની વચ્ચે ઘેરાયેલા મસૂદ અઝહરે ભાષણમાં આગળ કહ્યુ હતુ કે જુઓ આ જૈશનો ઝંડો અને આ જૈશનો રુમાલ, પાકિસ્તાનમાં એક સમય એવો પણ હતો કે અહીંયા તૈનાત વર્દીધારી ભાઈઓને કહેવાયુ હતુ કે જ્યાં પણ આ ઝંડો નજરે પડે ત્યાં તુટી પડે,આજે વર્ધીવાળા ભાઈઓ રેલીમાં આપણી સાથે ચાલી રહ્યા છે.
ઈમરાનખાને પોતાના ભાષણમાં સૂફિયાણી વાતો કરી હતી પણ હકીકત એ છે કે પાકિસ્તાનની ધરતી પર મસૂદ અઝહર બેફામ બનીને ફરી રહ્યો છે.મસૂદે પેશાવરની રેલીમાં એમ પણ કહ્યુ હતુ કે ઈસ્લામાબાદમાં રેલી થશે, કરાચી અને લાહોરમાં પણ રેલી થશે.
મસૂદે પુલવામાનો ખાસ ઉલ્લેખ કરતા ભાષણમાં કહ્યુ હતુ કે લોકોને લાગે છે કે જૈશ ખતમ થઈ ગયુ છે પણ સરહદની બંને તરફ જૈશ સક્રિય છે.કાશ્મીરના પુલવામામાં ઘરે ઘરે જૈશના ઝંડા છે.ગૂગલ કરીને જોઈલો તો અમીર એ જૈશની તસવીરો નજરે પડશે.