ઈમરાનખાનની નફ્ફટાઈ, ભારતને આપી યુધ્ધની ધમકી
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી,તા.19.ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામાના આતંકવાદી હુમલાના દિવસો બાદ પાક પીએમ ઈમરાનખાને મૌન તોડ્યુ છે.ઈમરાનખાને જોકે આજે આપેલા પોતાના નિવેદનમાં ઉલ્ટાનુ નફ્ફટાઈપૂર્વક ભારતને જ યુધ્ધની ધમકી આપી દીધી હતી.
ઈમરાને કહ્યુ હતુ કે જો પાકિસ્તાન પર હુમલો કરાયો તો તેનો પાકિસ્તાન જવાબ આપશે.ભારત સરકાર કોઈ પણ પૂરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે.ભારત સરકારને અમે પહેલા જવાબ નહોતો આપ્યો કારણકે પાકિસ્તાનનુ તંત્ર સાઉદી અરબના પ્રિન્સની મુલાકાતમાં વ્યસ્ત હતુ.
ઈમરાને કહ્યુ હતુ કે ભારત સરકાર જો કોઈ પૂરાવા આપે તો પાકિસ્તાન તપાસ માટે તૈયાર છે.પંદર વર્ષથી આતંકવાદ સામે પાકિસ્તાન પણ જંગ લડી રહ્યુ છે.અમને આતંકવાદી હુમલો કરાવીને કોઈ ફાયદો નથી.દરેક વખતે કાશ્મીરમાં હુમલો થાય છે ત્યારે પાકિસ્તાન પર દોષારોપણ કરવામાં આવે છે.આતકંવાદ પર વાતચીત કરવા માટે પણ અમે તૈયાર છે.અમે તેને ખતમ કરવા માંગીએ છે.કારણકે પાકિસ્તાનને આતંકવાદથી ભારે નુકસાન થયુ છે.
ઈમરાનખાને કહ્યુ હતુ કે એક નવી વિચાર સરણી અપનાવવી જરુરી છે.કાશ્મીરમાં યુવાનોને હવે મોતનો ડર નથી લાગતો.અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ નક્કી થઈ ગયુ છે કે લશ્કરી કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ નહી આવે.કાશ્મીર મામલે વાતચીત કરી પડશે.
ઈમરાને કહ્યુ હતુ કે ભારતમાં લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ પણ ભારતમાં ચૂંટણીના કારણે આવી વાતો થઈ રહી છે.જો તમે વિચારતા હશો કે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ તો અમે જવાબ આપવા તૈયાર છે.જંગ શરુ કરવુ સહેલુ છે પણ ખતમ કરવુ મુશ્કેલ છે.બંને દેશો વચ્ચેના મુદ્દાઓનો ઉકેલ માત્ર વાતચીતથી જ આવશે.
ભારતની સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી જૈશે પુલવામા આતંકવાદી હુમલો કર્યો હોવાનુ જાહેર કરાયાના ગણતરીના કલાકો બાદ પાકિસ્તાની વડાપ્રધાને નિવેદન આપ્યુ છે.