નહી સુધરે પાકિસ્તાન તો તેના હિસ્સાનુ પાણી પણ રોકી દઈશું, ગડકરીની ચીમકી
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર લાલ આંખ કરી છે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુ એક નિવેદન આપતા કહ્યુ છે કે જો પાકિસ્તાન નહી સુધરે તો તેના હિસ્સાનુ પાણી પણ અમે રોકી દઈશું.
ગડકરીએ કહ્યુ હતુ કે આ પ્રકારનો નિર્ણય પીએમ લેવલે થતો હોય છે પણ મેં મારા મંત્રાલયને કહ્યુ છે કે જો આ પ્રકારનો નિર્ણય લેવો હોય તો તે માટેનો અભ્યાસ કરો.જો પાકિસ્તાન આ જ પ્રકારનો વ્યવહાર કરવાનુ હોય તો તેની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવાની જરુર જ નથી.
તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજુતિ થઈ ત્યારે નક્કી થયુ હતુ કે બંને દેશો ભાઈચારા સાથે આગળ વધશે.પણ એવુ થઈ રહ્યુ નથી.માટે જ લોકોની માંગ છે કે નદીઓનુ પાણી બંધ કરી દેવામાં આવે.પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યુ છે.
તેમણે ભારતના હિસ્સાનુ રાવી, સતલુજ અને બ્યાસ નદીનુ પાણી પાકિસ્તાનમાં જતુ રોકવા અંગેના નિર્ણય પર કહ્યુ હતુ કે આ નિર્ણયને લાગુ કરવા માટે થોડો સમય લાગશે.આ માટે આ નદીઓ પર આપણે ડેમ, કેનાલ બનાવવા પડશે.