કાશ્મીર-હિમાચલમાં ભારે બરફવર્ષા અને વરસાદ : જમ્મુ શ્રીનગર હાઇવે બંધ
- ઠેર ઠેર ભૂસ્ખલનથી પ્રવાસીઓ ભયભીત
- હિમાચલમાં ભારે બરફવર્ષા અને તીવ્ર ઠંડીથી કુલ્લુમાં શાળાઓમાં રજા જાહેર કરાઇ
Updated: Feb 21st, 2019
જમ્મુ શ્રીનગર હાઇવે પર ૬૦૦ વાહન ફસાયા : હિમસ્ખલનમાં દટાયેલા મનાતા જવાનોનું બચાવકાર્ય શરૃ થઇ શક્યું નથી
નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને બરફવર્ષાને પગલે ઘણે સ્થળે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર હાઇવે સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. હાઇવે પર લગભગ ૬૦૦ વાહનો ફસાયા હતા.
હિમાચલમાં બરફવર્ષા અને કરા સાથે વરસાદને પગલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવી પડી હતી. ગઇકાલે હિમસ્ખલનમાં દટાયેલા મનાતા જવાનોની બચાવ કામગીરી શરૃ થઇ શકી નથી.
કાશ્મીરમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં જમ્મુ શ્રીનગર હાઇવે ખૂની નાળા નજીક બંધ થયો હતો. ૨૭૦ કિલોમીટરનો હાઇવે સતત બીજે દિવસે બંધ રહ્યો હતો. ત્યારે વરસાદને કારણે રસ્તો સાફ કરવાની કામગીરી બંધ કરવી પડી હતી. હજી વધુ ભૂસ્ખલનની ભીતિથી પ્રવાસીઓ ભયભીત છે.
ગુલમર્ગમાં ૨૯ સેન્ટીમીટર બરફવર્ષા થઇ હતી. બનીહાલ, જવાહર ટનલ, નેશનલ હાઇવે સહિત ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ હતી. હવામાન વિભાગે વધુ બરફવર્ષની આગાહી કરી હતી.
હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદનો બીજો દોર શરૃ થયો હતો. કુલ્લુ જિલ્લામાં શુક્રવારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે ફેબુ્રઆરી ૨૭ સુધી ભારે બરફવર્ષાની આગાહી કરી હતી. મનાલીમાં ૧૧ અને કલ્પમાં ૧૪ સેન્ટીમીટર વરસાદ પડયો હતો. રાજ્યના તાપમાનમાં ઘટાડો થતાં તીવ્ર ઠંડી ફરી વળી હતી. મનાલીમાં માઇનસ ૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લાહોલ અને સ્પીતિના કિલોંગમાં માઇનસ ૬.૮ ડિગ્રી તાપમાને સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું.