હવે મોદી સરકાર અર્ધલશ્કરી દળોની સલામતિને લઇને સતર્ક થઇઃ સુરક્ષા અંગેના નવા નિયમો બનાવશે
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર હુમલા બાદ પેરામિલેટ્રી ફોર્સિઝની સુરક્ષાને લઇને કેન્દ્રની મોદી સરકાર સાવચેત બની છે. કેન્દ્ર સરકારે હવે ભારતીય સેનાઓની તર્જ પર જ પેરામિલિટ્રી ફોર્સિઝની સુરક્ષા અને દરેક મૂવમેન્ટને ગોપનીય રાખવાનું ફરમાન જારી કર્યું છે.
કેન્દ્ર સરકારના આ આદેશ બાદ જો કોઇ પણ વ્યક્તિ પેરામિલિટ્રી ફોર્સિઝની ગોપનીય માહિતી લીક કરવાનું દોષિત જણાઇ તો તેના ઉપર દેશદ્રોહના કેસ સહિતની કડક કાર્યવાહી થઇ શકે છે. પેરામિલિટ્રી ફોર્સિઝમાં પણ ખાસ કરીને બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી અને એનએસજીના જવાનોને સેનાની તર્જ પર જ કેન્દ્ર સરકાર વિશેષ સુવિધાઓ આપવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ અર્ધલશ્કરી દળોની અનેક માંગો ખાસ કરીને શહીદનો દરજ્જો આપવાના નિર્ણય ઉપર પણ સરકાર ગંભીરતાની વિચારણા કરવાની શરૂ કરી દીધી છે. બહુ જલ્દી એમાં પણ કાનૂની અડચણોને પણ દૂર કરવામાં આવશે.
સીઆરપીએફ સહિત અન્ય અર્ધલશ્કરી દળોની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડ્યોર (SOP)માં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુલવામા હુમલા બાદ સીઆરપીએફને વધારે સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર આવવા-જવા દરમિયાન સીઆરપીએફની દરેક મૂવમેન્ટ માટે નવા ફિચર્સ અને નિયમો લાગુ કરવામાં આવ્યાં છે.