ચીન કંપનીઓ સામે ભારત સરકાર આકરુ વલણ અપનાવેઃ RSS
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી,તા.19.ફેબ્રુઆરી 2019, મંગળવાર
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ભારતમાં વેપાર કરતી ચીની કંપનીઓ સામે આકરુ વલણ અપનાવવા અપીલ કરી છે.
સ્વદેશી જાગરણ મંચે કહ્યુ છે કે પુલવામા હુમલાની જવાબદારી લેનારા અને આ હુમલા પાછળના મુખ્ય કાવતરા ખોર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીને હંમેશા રોડા નાંખ્યા છે તે બધા જ જાણે છે.આવા સમયે સરકારે પોતાના આર્થિક ફાયદા માટે ભારતમાં બિઝનેસ કરી રહેલી ચીની કંપનીઓ સામે પણ આ જ પ્રકારના અવરોધ ઉભા કરવા જોઈએ.
સ્વદેશી જાગરણ મંચે પાકિસ્તાનને અપાયેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને પાછો ખેંચવાના સરકારના નિર્ણયનુ સ્વાગત કરતા કહ્યુ છે કે સરકારે ચીન જેવા દુશ્મન દેશની કંપનીઓને પણ સમર્થન આપવાનુ બંધ કરવુ જોઈએ અને રાષ્ટ્રિય સુરક્ષાને પ્રાધાન્ય આપવુ જોઈએ.