મોદી સરકારે ટીકા ઉત્સવ ઉજવ્યો, પરંતુ લોકોને રસી પૂરી પાડી નહિ: પ્રિયંકા ગાંધી
Updated: May 12th, 2021
- કેન્દ્રે રસીના ઓર્ડર છેક જાન્યુઆરી, 2021માં કેમ આપ્યા ?
નવી દિલ્હી, તા.12 મે 2021, બુધવાર
કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રરાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં રસીકરણ ઉત્સવની ઉજવણી કરી, પરંતુ લોકોને રસી પૂરી પાડવાની વ્યવસ્થા નહિ કરતા રસીકરણનું કામ ઘટયું છે.
કેન્દ્રે 11-14 એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવ ઉજવ્યો હતો. કોરોના કેસ વધી રહ્યા હોવાથી મહત્તમ લોકોને રસીકરણના કાર્યક્રમમાં આવરી લેવાના હેતુસર એ રસીઝુંબેશ યોજાઇ હતી.
ભારત સૈાથી મોટો રસી ઉત્પાદક દેશ છે. ભાજપ સરકારે 12 એપ્રિલે ટીકા ઉત્સવની ઉજવણી કરી, પરંતુ રસીના ડોઝ પૂરા પાડવાની કોઇ વ્યવસ્થા કરી નહિ આજે ટીકા ઉત્સવ પછીના 30 દિવસમાં આપણા રસીકરણના કાર્યક્રમમાં 82 ટકાનો ઘટાડો થયો છે, એમ પ્રિયંકાએ 12 એપ્રિલ અને 9 મેએ થયેલા રસીકરણની ચિત્ર-આકૃતિઓ સાથે જણાવ્યું પ્રિયંકાએ દર્શાવેલા ચિત્રો પરથી પ્રતિપાદિત થાય છે કે ભારત રસીકરણમાં અમેરિકા, ઇગ્લેન્ડ, તુર્કી અને ફ્રાન્સ કરતાં પાછળ પડી ગયું છે.
મોદીજી રસીઉત્પાદક કંપનીમાં ગયા. એના ફોટા પડાવ્યા, પરંતુ એમની સરકારે વેક્સિન ડોઝનો પ્રથમ ઓર્ડર જાન્યુઆરી, 2021માં કેમ આપ્યો ? એવો સવાલ વિપક્ષ નેતા પ્રિયંકાએ કર્યો છે. આની સામે અમેરિકા અને અન્ય દેશોએ ભારતની રસીઉત્પાદક કંપનીને લાંબા સમય પહેલાં ઓર્ડર આપી દીધા હતા. આની જવાબદારી કોણ લેશે ? એવો પ્રશ્ન પણ કોંગ્રેસ મહામંત્રીએ પૂછયો છે.
દેશના પ્રત્યેક ઘરમાં રસી પહોંચે એની ખાતરી કર્યા વિના કોરોના સામે જંગ જીતવાનું શક્ય નથી, એવો મત પણ એમણે વ્યક્ત કર્યો.