જી-20 પરિષદ : વૈશ્વિક દક્ષિણનો અવાજ ભારત 'ઉચ્ચાસને'થી દુનિયાભરને સંભળાવવા માંગે છે
Updated: Nov 24th, 2022
- યુનોની સલામતી સમિતિનું કાયમી સભ્યપદ નજર સામે છે
- પરિષદમાં નાઇજીરિયા, ઇજીપ્ત, બાંગ્લાદેશ, ઓમન, યુએઇ, સિંગાપુર, મોરેશિયસ, સ્પેન, નેધરલેન્ડઝ વિશેષ, આમંત્રિતો તરીકે આવશે
નવી દિલ્હી : ડીસેમ્બર ૧, ૨૦૨૨થી ભારત એક વર્ષ માટે જી-૨૦ પરિષદના પ્રમુખપદે આવનારું છે. તે માટે, ભારતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં આ પરિષદનો પ્રારંભ નવી દિલ્હી સ્થિત 'સુષ્મા સ્વરાજ ભવન'માં થશે. પરિષદમાં જી-૨૦ના દેશો ઉપરાંત ભારતે નાઇજીરિયા, ઇજીપ્ત, બાંગ્લાદેશ, ઑમાન, યુએઇ, સિંગાપુર, મોરેશિયસ, સ્પેન અને નેધરલેન્ડઝને પણ 'વિશેષ આમંત્રિતો' તરીકે બોલાવ્યા છે.
આ પરિષદ દરમિયાન ભારત તેની વિશેષ સિદ્ધિઓ (જેવી કે : લીડરશીપ ઇન ફિનટેક) વિશ્વને દર્શાવવા માંગે છે તેનું ધ્યેય તો 'ઉચ્ચાસને' (સલામતી સમિતિનું કાયમી સભ્યપદે) રહી 'વૈશ્વિક દક્ષિણ'નો અવાજ દુનિયાભરને સંભળાવવાનું છે. તેમ જાણકારો જણાવે છે.
આ પરિષદ દરમિયાન જી-૨૦ના વિવિધ જૂથો (ગુ્રપ્સ)ની ૨૦૦ જેટલી મીટીંગો યોજાવાની છે જે દેશના ૫૬ જેટલા મોટા શહેરોમાં જુદા જુદા સમયે યોજાશે. પરિષદમાં ઉપસ્થિત સભ્યોને ભારતની સાંસ્કૃતિક વિવિધતા પણ દર્શાવવામાં આવશે તથા ભારતમાં નૃત્યુ પણ સભ્યોને દર્શાવવામાં આવશે.
પરિષદ દરમિયાન પર્યાવરણ સંબંધે ભારતની કાર્યસૂચિ રજૂ કરાશે જેમાં લાઇફ સ્ટાઇલ, ફોર એન્વાયર્મેન્ટ (Life) , ક્લાઇમેટ ફાયનાન્સિંગ, એનર્જી ટ્રાન્સમિશન, તથા વીમેન લેડ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવશે. (વડાપ્રધાને Life (લાઇફ)નો સૌથી પહેલો શબ્દ પ્રયોગ 'ક્લાઇમેટ કોન્ફરન્સ ૨૦૨૧'માં કર્યો હતો. યુનોના મહામંત્રીએ પણ તેની પ્રશંસા કરી હતી.) જી-૨૦ના ભારતનાં પ્રમુખપદ દરમિયાન વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (જેવી કે, યુનો)માં સુધારા કરવા ઉપરાંત વૈશ્વિક ઋણ કટોકટી અંગે પણ ચર્ચા કરશે. આ અંગે ભારતના જી-૨૦ માટેના 'શેરપા કહેવાતા અમિતાભ કાંતે કહ્યું હતું કે, 'ભારતે ડીજીટલ ટ્રાન્સફોર્મેશન' અંગે અભૂતપૂર્વ તેવી સ્વકીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે પશ્ચિમના દેશો કરતા તદ્દન જુદા પ્રકારની જ છે. અમે, જનસામાન્ય માટેની જરૂરિયાતો પૂરી પાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ખાનગી ક્ષેત્રને પણ નવીનીકરણ તથા સંશોધનો માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આરોગ્ય અને ઔષધિ ક્ષેત્રે ભારતે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત આ પરિષદ દ્વારા વૈશ્વિક દક્ષિણનો અવાજ સ્પષ્ટ રીતે દુનિયાને સંભળાવવા માંગે છે.
આ પરિષદમાં ઉક્ત દેશોના વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયા છે.
પરિષદમાં વિશ્વમાં રહેલા ૩ હજાર જેટલા ગરીબોના જીવન સ્તરને સુધારવા ઉપરાંત વિશ્વ સમક્ષ રહેલી ખાદ્યાન્ન અને ઊર્જા કટોકટી તથા દેવાની વધતી રહેલી કટોકટી દૂર કરવા માટે વિચારણા હાથ ધરાશે. સો ભૂરાજકીય તણાવો અને રશિયા- યુક્રેન કટોકટી વિષે પણ ચર્ચા થવા સંભવ છે તેમ વિદેશ મંત્રાલયના અમિતાભ કાંતે જણાવ્યું હતું.