વર્લ્ડ કપમાં પાક. સામે ના રમવું સરન્ડરથી પણ ખરાબ: શશિ થરૂર
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ચારેય તરફ પાકિસ્તાનને આક્રોશ છે. દેશમાં ચારેય તરફથી માગ ઉઠી રહી છે કે આ વર્ષે યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે મેચ રમવી જોઇએ નહીં, પછી ભલે તેને ટૂર્નામેન્ટમાંથી પાછુ હટવું કેમ ન પડે.
જોકે, કોંગ્રેસના નેતા શશિ થરૂરે શુક્રવારે ટ્વીટ કરી કહ્યું કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ના રમવું તે સરન્ડરથી પણ ખરાબ છે. શશિ થરૂરે લખ્યું કે 1999માં કારગિલની લડાઇ દરમિયાન ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે મેચ રમી હતી. ત્યારે ભારકીય ટીમે પાકિસ્તાનને ભૂંડી રીતે હરાવ્યું હતું. જો આપણે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે મેચ રમતા નથી તો ફક્ત બે પોઇન્ટો ખોટ જ નહીં પરંતુ તે શરણાગતી સ્વીકારી લેવાથી પણ ખરાબ હશે. કારણ કે તે લડ્યા વગર મળેલી હાર હશે.
વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે આજે નવી દિલ્હીમાં બીસીસીઆઇની બેઠક પણ યોજાવાની છે, જેના પર સમગ્ર દેશની નજર છે. ભૂતપૂર્વ ક્રિકેટરોની માગ છે કે જે પ્રકારની હાલ સ્થિતિ છે તેને જોતા ભારતને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે રમવું જોઇએ નહીં, જો આઇસીસી પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બેન નથી કરતું તો ભારતને હટી જવું જોઇએ.
આ વર્ષે 16 જૂનના રોજ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ યોજાવાની છે, આ મેચને જોવા માટે લગભગ 4 લાખથી વધારે લોકો અરજી કરી છે. ઇંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપમાંથી પાકિસ્તાને દૂર રાખવા માટે બીસીસીઆઇ આંતરરાષ્ટ્રીય ક્રિકટ બોર્ડને પત્ર લખી શકે છે. સુત્રો અનુસાર બીસીસીઆઇ શુક્રવારના રોજ યોજાનારી આ બેઠકમાં વર્લ્ડ કપ રમાવ પર પણ વિચાર કરી શકે છે.