કર્ણાટકમાં દલિત વ્યકિતનું બળજબરી ધર્મપરિવર્તનઃ સુન્નત કરી, બીફ ખવડાવ્યું
Updated: Sep 26th, 2022
- હુબલીમાં પોલીસે 12 લોકો સામે કેસ નોંધ્યો
- બીફ ખાવાની ના પાડતા મારપીટ કરવામાં આવી હતી
હુબલી : કર્ણાટકના હુબલીમાં એક દલિત વ્યકિતનું કથિત રીતે બળપૂર્વક ધર્મપરિવર્તન કરીને તેને ઈસ્લામ અંગીકાર કરાવ્વાનો મામલો સામે આવ્યો છે. તેનો આરોપ છે કે, તેની સુન્નત કરીને તેને બીફ ખાવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના તથ્યોની તપાસ ચાલી રહી છે.
માંડયા જિલ્લાના રહેવાસી ૨૬ વર્ષીય શ્રીધર ગંગાધરે આરોપ લગાવ્યો છે કે, તેનું બળજબરી પૂર્વક ધર્મપરિવર્તન કરીને તેની સુન્નત કરવામાં આવી હતી અને તેને બીફ ખાવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તેણે વધુમાં આરોપ લગાવ્યો છે કે, તેને ૩ હિન્દુઓનું ધર્મપરિવર્તન કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. તેણે ૧૨ લોકો સામે કેસ નોંધાવ્યો છે, જેમાંથી કોઈપણ વ્યકિતની ધરપકડ થઈ નથી.
શ્રીધરનો આરોપ છે કે, તેનું નામ બદલીને મોહમ્મદ સલમાન કરવામાં આવ્યું હતું. આ કેસમાં માંડયા જિલ્લાના મડ્ડૂરનો રહેવાસી અત્તાવર રહેમાન મુખ્ય આરોપી છે. શ્રીધરે મડ્ડૂરમાં ચાની કીટલી ધરાવતા અત્તાવરને પોતાની સમસ્યાઓ જણાવતાં તેણે શ્રીધરને બનાશંકરી મસ્જીદ લઈ જઈને ઈસ્લામ અંગીકાર કરાવ્યો હતો. તેનો આરોપ છે કે, તેણેે બીફ ખાવાની ના પાડતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેને તિરૂપતિ અને તેની આસપાસની મસ્જીદોમાં નમાઝ માટે લઈ જવામાં આવ્યો હતો. તે સાથે જ તેનો રીવોલ્વર સાથેે ફોટો પાડવામાં આવ્યો હતો.