કાશ્મીરમાં ટીઆરએફના કમાન્ડર સહિત પાંચ ખુંખાર આતંકીઓ ઠાર
Updated: Nov 17th, 2021
કુલગામમાં સૈન્યના બે મોટા ઓપરેશન
બારામુલ્લામાં સૈન્ય પર ગ્રેનેડ હુમલો સીઆરપીએફના બે જવાન, બે નાગરિક ઘાયલ : હુમલાખોરો ફરાર
જમ્મુ હાઇવે પરથી 43 લાખ રૂપિયા સાથે ત્રણ આતંકીઓની ધરપકડ, પુલવામામાંથી પણ બે ઝડપાયા
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સૈન્ય દ્વારા બે મોટા એન્કાઉન્ટર હાથ ધરાયા હતા. જેમાં ટીઆરએફનો કમાંડર સહિત કુલ 5 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આ આતંકીઓમાં ધ રેઝિસ્ટેન્સ ફોર્સ (ટીઆરએફ)નો કમાંડર અફાક સિકંદર પણ સામેલ છે.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો જેને પગલે બાદમાં બન્ને વચ્ચે સામસામે ભારે ઘર્ષણ થયું હતું. દરમિયાન બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના બે જવાનો અને બે નાગરિકો ઘવાયા હતા.
સવારે 11.15 કલાકે આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલો ક્યા આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તેની કોઇ જાણકારી નથી મળી શકી અને હુમલાખોરોની શોધખોળ માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરના પુલવામામાં લશ્કરે તોયબાના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આતંકીઓમાં આમિર બશીર અને મુખ્તર બટનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આતંકીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાનુ કાવતરૂ ઘડી રહ્યા હતા.
દરમિયાન મોટા પ્રમાણમાં હિથયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઇ હતી. જેમાં બે રેડી ટુ યુઝ આઇઇડીનો સમાવેશ થાય છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીર હાઇવે પરથી લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓની 43 લાખ રૂપિયા રોકડા સાથે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે તપાસ અભિયાન દરમિયાન આ આતંકીઓ ઝડપાયા હતા. ધરપકડ કરાયેલાઓમાં ફયાઝ ઉમર, મુઝિમનો સમાવેશ થાય છે.