આજીવન કેદની સજા કાપી રહેલા પિતાએ જેલમાં જ સગીર દીકરી સાથે દુષ્કર્મ કર્યું, બાદમાં ફરાર
Updated: Nov 26th, 2021
- આ ઘટના બાદ ઓપન એર જેલના કોન્સેપ્ટ સામે સવાલો થઈ રહ્યા છે અને આરોપીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા યોગ્ય નથી તેમ કહેવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2021, શુક્રવાર
રાજસ્થાનની જોધપુર જેલમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા એક આરોપીએ પોતાની જ સગીર દીકરી પર બળાત્કાર કર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે તે આરોપીની શોધખોળ આરંભી છે.
જાણવા મળ્યા મુજબ આરોપી જોધપુરની ઓપન એર જેલમાં કેદ હતો. તેના પર હત્યાનો આરોપ હતો અને તે આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. આરોપીએ પોતાની સગીર દીકરીને પણ પોતાના સાથે જ રાખી હતી. થોડા સમય સુધી તેની પત્ની પણ સાથે જ હતી પરંતુ બાદમાં તે તેને છોડીને જતી રહી હતી. ત્યારે દીકરીએ પોતાના પિતા સાથે રહેવાનો નિર્ણય લીધો હતો.
ગત બુધવારે પીડિતાએ પોતાની માતાને ફોન કરીને પિતાએ તેના સાથે બળાત્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ચોંકી ઉઠેલી માતાએ તરત પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. પીડિતાની માતાએ Reodar પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં તે કેસ જોધપુર પોલીસને મોકલી દેવામાં આવ્યો હતો. હાલ મંદોર પોલીસ ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે.
કઈ રીતે ભાગી શક્યો?
પોલીસના કહેવા પ્રમાણે પીડિતાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે અને મેડિકલ એક્ઝામિનેશન પણ કરી લેવાયું છે. આરોપી પિતા વિરૂદ્ધ આઈપીસીની કલમ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધાયો છે. જોકે આરોપીને પહેલેથી જ આ અંગે અણસાર આવી જતા તે બુધવારે જ પ્લાન બનાવીને કોઈ રીતે જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.
આ ઘટના બાદ ઓપન એર જેલના કોન્સેપ્ટ સામે સવાલો થઈ રહ્યા છે અને આરોપીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા યોગ્ય નથી તેમ કહેવામાં આવી રહ્યું છે.