પુલવામા: સેના અને જૈશ આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરઃ 5 જવાન શહીદ
Updated: Feb 18th, 2019
શ્રીનગર, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ. આ દરમિયાન બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરવામાં આવ્યાં છે. એન્કાઉન્ટરમાં એક મેજર સહિત સુરક્ષા દળના પાંચ જવાનો શહીદ થઇ ગયાં છે. અથડામણ પુલવામા જિલ્લાના પિંગલિના વિસ્તારમાં ચાલી રહી છે.
છેલ્લા થોડા કલાકથી ફાયરિંગ બંધ છે અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન મોડી રાતે બાર વાગ્યાથી ચાલી રહ્યું હતું. આખી રાત બંને તરફથી ફાયરિંગ થયું. વિસ્તારમાં ઘેરાબંદી કરીને ગામના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુલવામા આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી રશીદ પણ આ વિસ્તારમાં છુપાયો હોઇ શકે છે.
મોડી રાતે શરૂ થયેલું આ ઓપરેશન 55RR, CRPF અને SOGના જવાનોએ સાથે મળીને હાથ ધર્યું. પાકી માહિતી મળ્યા બાદ જ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. શહીદ થયેલા જવાનોમાં મેજર ડીએસ ડોડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવારામ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરી સિંહનો સમાવેશ થાય છે. એક જવાન ઇજાગ્રસ્ત છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
જાણવા મળ્યા મુજબ જે આતંકવાદીઓને ઘેરો ઘાલવામાં આવ્યો છે એ જૈશ-એ-મોહમ્મદના જ છે. આ તમામ આદિલ અહમદ ડારના સાથીદારો છે. આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિકનું પણ મોત નીપજ્યું છે. સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે પુલવામામાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.