રાંચી: નક્સલીઓએ બૉમ્બ બ્લાસ્ટ કરી રેલ લાઈન ઉડાડી દીધી
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019 મંગળવાર
ધનબાદ રેલ મંડળના રાય અને ખેલારી વચ્ચે નક્સલીઓએ બૉમ્બ બ્લાસ્ટ કરી રેલ લાઈન ઉડાડી દીધી. રાંચી પાસે ખલારી-રાય સ્ટેશનની વચ્ચે બે માલગાડી ક્ષતિગ્રસ્ત થઈ છે. ઘટના સોમવાર-મંગળવાર દરમિયાન રાત્રે 2 વાગે બની. ડાઉન લાઈનથી કોલસા લઈને માલગાડી પસાર થઈ રહી હતી. 25 ડબ્બા પસાર થયા બાદ અચાનક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
દુર્ઘટના એટલી જોરદાર હતી કે કોલસો ભરેલો એક ડબ્બો અપલાઈનમાં આવી ગયો. ડાઉન લાઈનના 15 ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા. પાંચ મિનિટ બાદ જ અપ લાઈનમાં કંટેનર ભરેલી માલગાડી આવી ગઈ. ધનબાદ રેલ મંડળ તરફથી કહેવામાં આવ્યુ છે કે ટ્રેકને વ્યવસ્થિત કરવામાં 48 કલાકનો સમય લાગશે.
કંટેનર માલગાડીનુ એન્જીન પહેલાથી દુર્ઘટનાગ્રસ્ત ડબ્બા સાથે ટકરાઈ ગયુ જેનાથી તેમના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અપ તથા ડાઉન બંને લાઈનથી રેલ ટ્રાફિક બંધ થઈ ગયો. માહિતી મળતા જ રેલ્વે અધિકારી અને ખલારી ઈન્સપેક્ટર ત્યાં પહોંચ્યા. ઈજાગ્રસ્ત રેલ ડ્રાઈવરને હોસ્પિટલ મોકલવામા આવ્યા છે.
59 ડબ્બાવાળી મલ્ટી ડિઝલ માલગાડી નંબર 70519/12942ના ડ્રાઈવર જેપી મહેતાએ રાત્રે 2 વાગીને 5 મિનિટ પર મેસેજ મોકલ્યો કે ટ્રેનની ઉપર ઈલેકટ્રોનિક તારોમાં તણાવ નથી. 2 વાગીને 15 મિનિટ પર ડ્રાઈવરે બીજીવાર મેસેજ મોકલ્યો કે બોમ્બ બ્લાસ્ટ થયો અને 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તે બાદ ત્યાં એક 40 કંટેનરવાળી માલગાડી પસાર થઈ રહી હતી. તે પણ પાટા પર પડેલા ડબ્બા સાથે અથડાઈ. કંટેનર ટ્રેનના 6 વેગન પાટા પરથી ઉતરી ગયા. કંટેનર માલગાડીના ડ્રાઈવર યુએસ ચોપલ અને ગાર્ડ આર તુડ્ડુએ તરત જ એક્સિડેન્ટ રિલીફ ટ્રેનની માગ કરી. તે બાદ અપ અને ડાઉન ટ્રેક પર વાહન રોકી દેવાયુ.