આજે રક્ષા મંત્રી નિર્મલા સીતારમનની સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક
Updated: Feb 25th, 2019
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ આજે મહત્ત્વની બેઠક યોજાવાની છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમન ભારતીય સેના, નેવી અને એરફોર્સના પ્રમુખ તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે.
સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પાકિસ્તાન સરહદ પરની પરિસ્થિતિ સહિત તમામ મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત સરકાર કેટલાક મહત્ત્વના સુરક્ષા પડકારોને લઇને અધિકારીઓના પ્રતિભાવ માગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ભારત-ચીન સરહદની સ્થિતિ સાથે સાથે ભારત સાથે જોડાયેલા ભૂ-રણનીતિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. બેઠકમાં અમેરિકા, રશિયા અને અન્ય મિત્રદેશો સહિત દુનિયાના મહત્ત્વપૂર્ણ દેશો સાથેના સંબંધો પર વિસ્તૃત ચર્ચા થશે. સૈન્ય સંબંધી પોતાના વિચારો રજૂ કરવા માટે વિદેશ ખાતાના પ્રતિનિધિ પણ બેઠકમાં સામેલ થશે.
એવું મનાય છે કે અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ઉઘાડી પાડવા અંગે કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાને લઇને ભારત વિશ્વની શક્તિઓને પોતાની સાથે લાવી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાના સંકેત પણ આપી ચૂક્યાં છે.