કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વઘીને 12 ટકા
ભથ્થામાં સરકારે 3 ટકાનો વધારો કરતાં 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શરોને લાભ મળશે
કેબિનેટ બેઠકમાં ટ્રિપલ તલાક અંગેના વિધેયકને અમલમાં મૂકવાની પણ મંજૂરી અપાઇ
Updated: Feb 19th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી, ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણયનો લાભ ૧.૧ કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકના અંતે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કર્યા પછી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૯ ટકાથી વધીને ૧૨ ટકા થયું છે. ૧૨ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ એક જાન્યુઆરી, ૨૦૧૯થી આપવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારોનો લાભ કેન્દ્ર સરકારના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરોને મળશે.
સાતમા પગાર પંચની ભલામણને ધ્યાનમાં રાખીને જ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેબિનેટની આજની બેઠકમાં ટ્રિપલ તલાક વિધેયક જારી કરવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાકનું બિલ રાજ્યસભામાં પસાર થઇ શક્યું નથી. રાષ્ટ્રપતિની સહી પછી ટ્રિપલ તલાકનો વિધેયક અમલમાં આવી જશે. આ વિધેયક એક વર્ષમાં ત્રીજી વખત અમલમાં આવશે.