કોરોનાના કુલ 13 કરોડ ટેસ્ટ, કેસ 91 લાખ નજીક : ટેસ્ટિંગ વધારવા કેન્દ્રની સલાહ
- 24 કલાકમાં કોરોનાના 44 હજાર કેસો, 44 હજારને સાજા કરાયા
- મસૂરીમાં સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્રમાં 57 તાલિમાર્થી અધિકારીઓને કોરોના થતા તંત્ર દોડતું થયું
Updated: Nov 21st, 2020
નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર
કોરોના કેસો કેટલાક રાજ્યોમાં બહુ જ ઝડપથી વધવા લાગ્યા છે. માત્ર 24 કલાકમાં જ કોરોનાના વધુ 44,498 કેસો સામે આવ્યા હતા. જેને પગલે કુલ કેસોની સંખ્યા 90,86,315ને પાર પહોંચી ગઇ હતી. જ્યારે વધુ 44980 લોકોને સાજા કરી લેવાયા છે અને કુલ સાજા થયેલાની સંખ્યા પણ 85,10,862નો આંકડો વટાવી ચુકી છે. તેથી એક્ટિવ કેસો હવે 6 લાખ જેટલા છે.
બીજી તરફ કોરોનાના કેસો હવે ગમે ત્યાંથી સામે આવવા લાગ્યા છે. મસૂરીમાં એક સિવિલ સર્વિસ ટ્રેનિંગ કેન્દ્રમાં તાલિમ લઇ રહેલા 57 જેટલા સિવિલ સર્વિસ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે અને સમગ્ર વિસ્તારને ક્વોરન્ટાઇન કરીને બધાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
શ્રમ મંત્રાલયે કહ્યું છે કે અમે આ વિસ્તારમાં કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસોના આદેશ આપ્યા છે. હાલ કોરોના મહામારી એટલી વકરી રહી છે કે કેટલાક દેશો હાર માનવા લાગ્યા હોય તેવી સિૃથતિ ઉભી થઇ છે. નેપાળે કહ્યું છે કે કોરોના પાછળનો ખર્ચ એટલો આવી રહ્યો છે જે આમ જ શરૂ રહ્યો તો દેશ પાસે કઇ નહીં બચે અને અન્ય ક્ષેત્રો પર માઠી અસર થશે.
નેપાળના વડા પ્રધાને કહ્યું છે કે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં કોરોના વેક્સિનની જરૂર પડશે, જેના માટે અત્યારથી જ પૈસા બચાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ અનુસાર નેપાળે ફ્રી ટેસ્ટિંગ, ટ્રીટમેંટ અને ક્વારન્ટાઇન સેંટરને બંધ કરવાની કોશીશ પણ કરી છે.
જોકે તેનો દેશભરમાં વિરોધ થયો અને સુપ્રીમ કોર્ટે સરકારનો નિર્ણય ફેરવી નાખ્યો છે. નેપાળ સરકાર કોરોનાને લઇને અત્યાર સુધી 1238 કરોડ ખર્ચ કરી ચુકી છે. બીજી તરફ ભારતમાં કોરોનાના ટેસ્ટની ગતી વધારવાના આદેશ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર સાશીત પ્રદેશોને આપ્યા છે.
અત્યાર સુધી દેશભરમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા 13 કરોડને પાર પહોંચાડી દેવામાં આવી છે. માત્ર 10 જ દિવસમાં એક કરોડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. શુક્રવારે જ વધુ 10 લાખ ટેસ્ટ કરાયા હતા. જેમ ટેસ્ટ વધતા જાય છે તેમ કોરોનાના કેસોને ટ્રેસ કરવામાં મદદ મળે છે અને સારવાર આપી શકાય છે.