કોરોનાની ત્રીજી લહેર કેવી હશે? શું ભારતમાં બૂસ્ટર ડોઝની જરૂર છે? જાણો ડો. ગુલેરિયાનો જવાબ
Updated: Nov 24th, 2021
- હાલ વેક્સિનના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની કોઈ જ જરૂર નથીઃ ગુલેરિયા
નવી દિલ્હી, તા. 24 નવેમ્બર, 2021, બુધવાર
ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા નથી. હાલ કોરોનાના કેસ પહેલાની માફક નથી નોંધાઈ રહ્યા જેનાથી સ્પષ્ટ થાય છે કે, વેક્સિન વાયરસ સામે રક્ષણ આપી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન હાલ આપણા ત્યાં વેક્સિનના બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે સમય વીતવાની સાથે સાથે આ મહામારી સ્થાનિક બની જશે.
આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવ દ્વારા લિખિત પુસ્તક 'ગોઈંગ વાયરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન-ધ ઈનસાઈડ સ્ટોરી'ના વિમોચન પ્રસંગે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, દેશમાં વેક્સિનેશન બાદ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવાની નોબત નથી આવી. જેમ-જેમ સમય વીતી રહ્યો છે, કોરોનાની કોઈ પણ લહેરની આશંકા ઘટી રહી છે.
વેક્સિનના બૂસ્ટર ડોઝની જરૂરિયાત મામલે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, હાલ કેસમાં કોઈ વૃદ્ધિ નથી આવી. તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વેક્સિન હજુ પણ વાયરસ સામે રક્ષણ આપી રહી છે. આ કારણે હાલ વેક્સિનના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની કોઈ જ જરૂર નથી.