દેશમાં કોરોનાનું ઘેરાતું સંકટ: 24 કલાકમાં 28ના મોત, 704 નવા કેસ
Updated: Apr 6th, 2020
- પોઝિટીવ કેસનો આંકડો 4683ને પાર, કૂલ મૃત્યુઆંક 138
- સૌથી વધુ મહારાષ્ટ્રમાં 45, ગુજરાતમાં 12, મધ્ય પ્રદેશમાં 9, તેલંગાણામાં 7, પંજાબમાં 6 અને તામિલનાડુમાં 5 મોત
- કુલ મૃત્યુઆંકમાં 63 ટકા મૃતકોની વય 60 વર્ષથી વધુ, 30 ટકા મૃતકોની 40થી 60 વર્ષ વચ્ચેની છે
- તબલિગી જમાતના 25,000 કાર્યકર્તાઓનો ટેસ્ટ કરવામાં આવ્યો, હરિયાણાના ચાર ગામો સીલ કરાયા
નવી દિલ્હી, તા. 6 એપ્રિલ 2020, સોમવાર
દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને આંકડો ચાર હજારને પાર કરી ગયો છે જ્યારે મૃત્યુઆંક પણ ૧૦૦ ઉપર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં હવે કોરોના કેસોની સંખ્યા ૪૨૮૧ ઉપર પહોંચી ગઇ છે જ્યારે મૃત્યુઆંક વધીને ૧૧૧ ઉપર નોંધાયો છે જેને પગલે રાજ્યોને વધુ સતર્ક રહેવાની સુચના જારી કરવામાં આવી છે.
વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ૨૪ કલાકમાં જ કોરોના વાઇરસના કેસોમાં ૨૧૪નો ઉછાળો આવ્યો છે. અગાઉ આંકડો ૪૦૬૭ હતો જે હવે વધીને ૪૨૮૧ થઇ ગયો છે. જ્યારે મૃત્યુઆંક ૧૧૧ પાર પહોચ્યો છે. બીજી તરફ સારવાર પણ જડપથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ૩૧૮ લોકો સાજા થઇ જતા ઘરે જવાની છુટ આપી દીધી છે. જે કુલ કેસો સામે આવ્યા છે તેમાં ૬૬ વિદેશીઓ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર છે જ્યાં કેસોની સંખ્યા વધીને ૭૪૮ ઉપર પહોંચી ગઇ છે સાથે જ ૪૫ લોકોના મોત પણ નિપજ્યા છે. તેવી જ રીતે તામિલનાડુમાં ૫૭૧ અને દિલ્હીમાં પણ સૌથી વધુ ૫૨૩ કેસો નોંધાયા છે.
અન્ય રાજ્યોમાં કોરોના વાઇરસને કારણે થયેલા મૃત્યુના આંકડા પર નજર કરીએ તો દિલ્હીમાં સાત, ગુજરાતમાં ૧૨, તેલંગાણામાં ૭, મધ્ય પ્રદેશમાં ૯, પંજાબમાં ૬, કર્ણાટકામાં ૪, પશ્વિમ બંગાળમાં ૩, જમ્મુ કાશ્મીરમાં ૨, ઉત્તર પ્રદેશમાં ૩, કેરળમાં ૨, આંધ્ર પ્રદેશમાં ૩, તામિલનાડુમાં ૫ લોકોના મૃત્યુ થયા છે. બિહાર અને હિમાચલ પ્રદેશમાં એક એક મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે તેમાં ૬૩ ટકા લોકો એવા છે કે જેની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય. ૩૦ ટકા કેસો એવા છે કે જેમાં મૃત્યુ પામેલાની વય ૪૦થી ૬૦ વર્ષની હોય. જ્યારે સાત ટકા મૃતકોની ઉમર ૪૦ વર્ષની નીચેની છે. તબલિગી જમાતના આશરે ૨૫ હજાર કાર્યકર્તાઓ અને સભ્યોની ચકાસણી કરવામાં આવી છે. તેઓ હરિયાણાના જે પાંચ ગામોમાં ગયા હતા તેને સંપૂર્ણપણે સીલ કરીને તપાસ ચાલી રહી છે.