અનલોક-2ની શરૂઆત : હવે રાત્રે 10થી પરોઢે પાંચ વાગ્યા સુધી કરફ્યૂ
- આજે સાંજે ચાર વાગ્યે મોદી દેશને સંબોધશે
- 31મી જુલાઇ સુધી શાળા બંધ, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ છુટ નહીં
Updated: Jun 29th, 2020
નવી દિલ્હી, તા. 29 જૂન, 2020, સોમવાર
ભારતમાં અનલોકનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇ ગયો છે. સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન પણ જારી કરી છે. નવી ગાઇડલાઇન મુજબ 31મી જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે.
ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પેસેંજર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે. આઠમી જુનથી ધાર્મિક સૃથળો તેમજ જાહેર સૃથળોને ખોલવાની જે છુટ આપી હતી તે યથાવત રહેશે. જોકે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ જ છુટછાટ નહીં રહે.
એક દુકાને પાંચથી વધુ લોકોની છુટ આપવામાં આવી છે પણ ચોક્કસ માસ્ક જેવા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. સિનેમા મોલ્સ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થીયેટર્સ, બાર્સ વગેરેને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ખુલવાની છુટ નહીં આપવામાં આવે સાથે જ આ વિસ્તારમાં મેટ્રો પણ શરૂ નહીં કરાય.
31મી જુલાઇ સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો યોગ્ય રીતે અમલ કરાવવામાં આવશે. રાત્રીનો કરફ્યૂ હવે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશને સંબોધશે, તેમનું ભાષણ સાંજે ચાર વાગ્યે શરૂ થશે. જેમાં તેઓ વિવિધ મુદ્દાઓને લઇને વાતચીત કરશે.