મથુરા બાદ હવે યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડે તેવી અટકળો, ગુજરાતના ધારાસભ્યોના અયોધ્યામાં ડેરા તંબૂ
Updated: Jan 8th, 2022
અયોધ્યા, તા. 8. જાન્યુઆરી. 2022 શનિવાર
ઉત્તરપ્રદેશની ચૂંટણી માટેના પ્રચાર વચ્ચે સૌથી વધારે ચર્ચા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે તેની છે.
સીએમ યોગી પર મથુરાથી ચૂંટણી લડવા માટે પાર્ટીમાંથી જ નેતાઓ દબાણ કરી રહ્યા છે ત્યારે હવે સીએમ યોગીના અયોધ્યા પ્રવાસ બાદ તેઓ અયોધ્યાથી ચૂંટણી લડે તેવી અટકળો પણ તેજ બની છે.
સીએમ યોગીના પ્રવાસની સાથે સાથે તેમના ઓએસડી સંજિવ સિંહનો અયોધ્યા પ્રવાસ તેમજ ગુજરાતના ધારાસભ્યોએ પણ અયોધ્યામાં ડેરા તંબૂ તાણ્યા હોવાથી યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે તેવી ચર્ચા તેજ બની છે.
ભાજપે ગુજરાતના ધારાસભ્યોને અયોધ્યાના માહોલનો તાગ મેળવવા માટે મોકલ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.ભાજપને લાગે છે કે, અયોધ્યા થકી આખા યુપીને સાધી શકાશે.યોગીના ઓએસડી સંજિવ સિંહે પાર્ટીના પદાધિકારીઓ સાથે અયોધ્યામાં ગઈકાલે બેઠક કરી હતી અને સીએમ તરફથી કાર્યકરોને કેટલીક ભેટ પણ આપી હતી.ઓએસડી સંજિવ સિંહે કાર્યકરોને પણ પૂછ્યુ હતુ કે, જો યોગી અયોધ્યાથી ચૂંટણી લડે તો કેવો પ્રતિસાદ મળશે અને તેના જવાબમાં તમામ કાર્યકરોએ એક સાથે કહ્યુ હતુ કે, આ બહુ સારો નિર્ણય હશે.
જોકે સીએમ યોગી પોતે કહી ચુકયા છે કે, પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડશે.
દરમિયાન ભાજપે ગુજરાતના ધારાસભ્યોને અયોધ્યાની બેઠકો માટે નિરિક્ષક તરીકે નિમણૂંક કર્યા છે.