ભારત માટે ચીન સૌથી મોટો ખતરો હોવાના સીડીસી રાવતના નિવેદન પર ભડક્યુ ચીન, આપ્યો આવો જવાબ
Updated: Nov 26th, 2021
નવી દિલ્હી, તા. 26. નવેમ્બર, 2021 શુક્રવાર
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ નિવેદન ભારે ચર્ચામાં છે.
રાવતે કહ્યુ હતુ કે, ચીન ભારતની સુરક્ષા માટે ખતરો છે.જેના પર હવે ચીન ભડકયુ છે.ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તા કર્નલ વૂ કિયાને આ નિવેદનને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યુ છે અને કહ્યુ છે કે, આવા નિવેદનોથી બે દેશો વચ્ચે ટકરાવ વધી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારતના અધિકારી કોઈ કારણ વગર ચીન તરફથી સૈન્ય ખતરો હોવાની અટકળો લગાવતા હોય છે.ભારત ચીન બોર્ડર વિવાદ પર ચીનનુ વલણ બહુ સ્પષ્ટ છે.બોર્ડર વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા માટે ચીન કટિબધ્ધ છે.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના ઉકેલમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે તેવા મુદ્દા પર કર્નલ વૂએ કહ્યુ હતુ કે, અમે ભારતીય પક્ષને તેની વાત રજૂ કરવાની પૂરેપૂરી તક આપી છે.બોર્ડર વિવાદમાં તનાવ ઘટાડવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે.
તેમણે ચીન કહેવાત ટાંકતા કહ્યુ હતુ કે, જો તમે કાચનો ઉપયોગ અરીસા સ્વરુપે કરશો તો તમે તમે તૈયાર થઈ શકશો અને તેનો ઉપયોગ ઈતિહાસના અરીસા તરીકે કરશો તો તમે તમારી પ્રગતિ અને પતનને ઓળખી શકશો.