For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું : 36 દિવસની હાલાકી બાદ મજૂરો - વિદ્યાર્થીઓને વતનમાં જવાની છૂટ

- વગર વિચારે લૉકડાઉન જાહેર કર્યા પછી વાસ્તવિક પરિસ્થિતિ હલ કરવા

- પરત જવા માગતા લોકોનું સ્ક્રીનિંગ થશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત, બસોની વ્યવસ્થા કરાશે નિર્ણયમાં મોડું થતાં હજારો મજૂરો પગપાળા જ વતન ગયા, અનેક ભૂખ્યા-તરસ્યા હેરાન થયા

Updated: Apr 29th, 2020


નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2020, બુધવાર

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસને પગલે ૨૪મી માર્ચે સમગ્ર દેશમાં રોતારોત લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જોકે આ નિર્ણય એટલો અધકચરો હતો કે હજારો મજૂરો અને આમ નાગરિકો પોતાના ઘરે ન જઇ શક્યા અને આટલા દિવસો સુધી તેઓ જ્યાં હતા ત્યાં જ ભોજન પાણીની વ્યવસ્થા વગર ફસાયેલા રહ્યા. હવે જ્યારે ત્રણ મેએ લોકડાઉન પુરુ થવાનો સમય નજીક આવ્યો છે ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે જે લોકો પણ જ્યાં પણ ફસાયા હોય તેઓને હવે તેમના ઘરે જે વતન પરત જવા દેવાની છુટ શરતો સાથે આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે જારી કરેલા એક આદેશમાં જણાવ્યું છે કે જે રાજ્યોમાં પર્યટકો, વિદ્યાર્થીઓ, સ્થળાંતરીત મજૂરો ફસાયા છે તેમને હવે પોતાના ઘરે અને રાજ્યમાં જવા દેવાની છુટ આપવામાં આવશે. ૩૬ દિવસ સુધી લોકો લોકડાઉનને કારણે જ્યાં હતા ત્યાં ફસાયેલા રહ્યા. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે રાજ્ય સરકારોએ નોડલ ઓફિસરને જે લોકો ફસાયા હોય તેમને પોતાના મુળ સ્થળે પહોંચવાની જવાબદારી સોપવામાં આવે. જે લોકો જવા માગતા હોય તેઓનું યોગ્ય રીતે સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો તેમનામાં કોરોનાના કોઇ જ લક્ષણો ન દેખાય તો જ તેમને અન્ય રાજ્યોમાં જવા દેવાની છુટ આપવામાં આવશે. 

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે મજૂરો તેમજ અન્ય લોકોને લાવવા લઇ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે. જે દરમિયાન દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે આ ઉપરાંત માસ્ક પણ ફરજીયાત પહેરવાનું રહેશે. જોકે કોઇ પરિવાર કે વ્યક્તિ ખાનગી વાહનમાં જઇ શકશે કે નહીં તેને લઇને ગૃહ મંત્રાલયના આ આદેશમાં કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. રાજ્ય સરકારોએ નોડલ ઓફિસરની નિમણુંક કરવાની રહેશે સાથે જ લોકોના આવવા જવા માટેના યોગ્ય ધારા ધોરણ નક્કી કરવાના રહેશે. સ્વાસ્થ્ય ચેકઅપના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. 

જોકે નિષ્ણાંતોના મતે લોકડાઉનનો નિર્ણય જ્યારે લેવામાં આવ્યો ત્યારે જ આ મજૂરો અને ફસાયેલા અન્ય નાગરિકોને પોતાના ઘરે લાવવા લઇ જવાની યોગ્ય વ્યવસ્થા કરવાની જરુર હતી, કેમ કે ૩૬ દિવસ સુધી આ લોકો જ્યાં હતા ત્યાં ફસાયેલા રહ્યા તો અનેક મજૂરો પગપાળા જ ૧૦૦૦થી વધુ કીમી ચાલીને પોતાના રાજ્યમાં ગયા, જે દરમિયાન અનેકના મોત પણ થયા. થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં એક ૧૨ વર્ષની બાળકી ૧૦૦ કિમી ચાલતા મોતને ભેટી હતી. 

જ્યારે સુરતમાં મજૂરો મહિનાથી ઘરે જવા માટે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. સરકારે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા જેવો આ નિર્ણય લીધો છે. જો વહેલા નિર્ણય લઇ લીધો હોત તો લાખો લોકોએ ૩૬ દિવસ સુધી લોકડાઉનને કારણે જે યાતનાઓ સહન કરી તે ન કરવી પડી હોત.

ગલ્ફ, યુરોપિયન દેશોથી શરૂઆત કરાશે 

વિદેશમાં ફસાયેલાને પરત લાવવા કેન્દ્રએ પ્લાન તૈયાર કર્યો

- એરફોર્સ, નેવી અને સૈન્યના વિમાનોની મદદ લેવામાં આવશે, રાજ્યોને પણ તૈયારીના આદેશ

લોકડાઉનને કારણે ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્યોને પોતાના રાજ્યોમાં અવર જવરની કેન્દ્ર સરકારે શરતો સાથે છુટ આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે વિદેશોમાં જે ભારતીયો ફસાયા છે તેમને ભારત લાવવા માટે એક મેગા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપી દીધો છે કે તેઓ વિદેશમાં ફસાયેલાને પરત લાવવામાં આવે ત્યારે યોગ્ય સુવિધાઓ અને સ્ક્રિનિંગ વગેરેની સુવિધાઓ તૈયાર કરી રાખે. સરકાર વિદેશોમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે નેવીની પણ મદદ લેશે.  આ ઉપરાંત કમર્શીયલ તેમજ સૈન્યના એક્રાફ્ટને મોકલવામાં આવશે.

ખાસ કરીને ગલ્ફ દેશોમાં અનેક ભારતીયો ફસાયેલા છે, આ ઉપરાંત અમેરિકા અને બ્રિટન જેવા દેશો કે જ્યાં કોરોના વાઇરસની મહામારી વધુ છે ત્યાં ફસાયેલા ભારતીયોને બહુ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક ભારતીયોએ વિદેશોમા ંકોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યો છે. ઇન્ડિયન એરફોર્સે કેટલાક વિમાનોને તૈયાર રાખી લીધા છે.

અગાઉ જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી તે પહેલા વિદ્યાર્થીઓને ચીન તેમજ અન્ય કેટલાક દેશોમાંથી પરત લવાયા હતા જોકે તે બાદ લોકડાઉનને કારણે કોઇને પરત નહોતા લાવી શકાયા. સૌથી પહેલા ગલ્ફ દેશોથી શરૂઆત કરવામાં આવશે તે બાદ યુરોપના દેશો અને બાકી દેશોમાંથી પરત લાવવામાં આવશે. 

ઘરે જવા આપેલી છૂટનો અમલ કેવી રીતે થશે ?

  • રાજ્ય સરકારોએ નોડલ ઓથિરિટીની નિમણુંક કરવાની રહેશે, જે ફસાયેલાની નોંધણી કરશે.
  • રાજ્ય સરકારોએ એકબીજાની સાથે સંકલન કરવાનું રહેશે, બસોની વ્યવસ્થા કરવી પડશે. 
  • સ્ક્રિનિંગ દરમિયાન કોઇમાં કોરોનાના લક્ષણ જણાય તો તેને ત્યાં અટકાવી દેવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.
  • બસોનું યોગ્ય રીતે સેનિટાઇઝિંગ કરવાનું રહેશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે.
  • લોકો જ્યારે પોતાના રાજ્યમાં પહોંચે ત્યારે તેમને હોમ ક્વોરન્ટાઇન હેઠળ ચોક્કસ દિવસો સુધી રાખવામાં આવશે. 
  • ઘરે પરત ફર્યા બાદ પણ તેમના પર નજર રાખવામાં આવશે અને તેમનું સ્વાસ્થ્ય ચેકઅપ નિયમિત કરવાનું રહેશે.
Gujarat