સોનાક્ષી સિંહા સામે છેતરપિંડીની ફરિયાદ કરનારાએ ખાધુ ઝેર
Updated: Feb 24th, 2019
નવી દિલ્હી, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર
શોટગન તરીકે જાણીતા એક્ટર અને રાજકારણી શત્રુઘ્ન સિંહાની પુત્રી અને બોલીવૂડ સ્ટાર સોનાક્ષી સિંહા ફરી ચર્ચામાં છે.
સોનાક્ષી સિંહા સામે મુરાદાબાદમાં 37 લાખની છેતરપિંડીની ફરિયાદ કરનાર વ્યક્તિએ પોલીસ કોઈ કાર્યવાહી નહી કરી રહી હોવાથી ઝેર ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે.જેના કારણે પોલીસ હવે સક્રિય થઈ ગઈ છે.
30 સપ્ટેમ્બરે સોનાક્ષીએ દિલ્હીની એક ઈવેન્ટમાં હાજરી આપવાની હતી.જેનુ આયોજન પ્રમોદ શર્મા નામના વ્યક્તિએ કર્યુ હતુ.સોનાક્ષી નહી આવતા લોકો અકળાયા હતા અને તેમણે ઈવેન્ટના સ્થળે તોડફોડ પણ કરી હતી.એ પછી પ્રમોદે સોનાક્ષી સહિત અન્ય પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવીને આક્ષેપ કર્યો હતોકે મેં 37 લાખ રુપિયા એડવાન્સમાં આપ્યા છતા સોનાક્ષી કાર્યક્રમમાં આવી નહોતી.આ મામલામાં ટેલેન્ટ ફુલ નામની કંપનીના અભિષેક સિન્હા, માલવિકા પંજાબી, ધૂમિલ ઠક્કર અને એડગર સકારિયો સામે પણ પ્રમોદ શર્માએ ફરિયાદ કરી હતી.
જોકે ફરિયાદ બાદ પોલીસે નોટિસ મોકલી હતી પણ આરોપીઓએ તેના કોઈ જવાબ આપ્યા નહોતા.જોકે એ પછી પોલીસ કાર્યવાહી નહી કરી રહી હોવાનો આક્ષેપ મુકીને પ્રમોદ શર્માએ ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેનો જીવ બચી ગયો છે પણ હવે પોલીસ આ મામલામાં ફરી સક્રિય થતા સોનાક્ષી સિંહા માટે મુશ્કેલી વધી શકે છે.