કેગે પોતાને મજાક બનવા દેવાની પરવાનગી આપી છે : ચિદમ્બરમ
રફાલ અંગે કેગનો અહેવાલ સંપૂર્ણપણે નિરર્થક
સોદાના તથ્યો છુપાવીને કેગે દેશના લોકોને નિરાશ કર્યા છે : પૂર્વ નાણા પ્રધાન
Updated: Feb 14th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
રફાલ વિમાન સોદા અંગે કેગના અહેવાલને નકામો ગણાવતા જણાવ્યું હતું કે કેગે પોતાની જાતે જ પોતાને મજાક બનવા દીધો છે તેમ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે આજે જણાવ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે સોદા અંગે સંકળાયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્યો છુપાવીને કેગે દેશના લોકોને નિરાશ કર્યા છે.
પૂર્વ નાણા પ્રધાને જણાવ્યું છે કે કેગના અહેવાલમાં કોઇ ઉપયોગી માહિતી કે નિષ્કર્ષ નથી અને તેનો ઉદ્દેશ સત્યને છુપાવવાનો છે.
રફાલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની પોતાના પક્ષની માગને ફરીથી પુનરાવર્તિત કરતા ચિદમ્બરમે જણાવ્યું હતું કે ફક્ત આ જ સમિતિ સંબધિત દસ્તાવેજો માગી શકે છે.
કેગનો અહેવાલ રફાલ મુદ્દે અંતિમ ચુકાદો હોવાની ભાજપની જાહેરાતને ફગાવી દેતા ચિદમ્બરમે જણાવ્યું છે કે કેગ ભગવાન નથી.
ચિદમ્બરમે જણાવ્યું છે કે કેગે પોતાને મજાક બનવાની પરવાનગી આપી છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં સરકાર કેગની પ્રતિષ્ઠતાને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરશે.