કાલિન્દી એક્સપ્રેસમાં કાનપુર પાસે વિસ્ફોટઃ ઓછી તીવ્રતા હોવાથી જાનમાલનું નુકસાન નહીં
Updated: Feb 21st, 2019
કાનપુર, તા. 21 ફેબ્રુઆરી 2019, ગુરુવાર
કાનપુર પાસે કાલિન્દી એક્સપ્રેસમાં બુધવારે સાંજે વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી પ્રમાણે બુધવારે સાંજે 7:10 વાગ્યે કાલિન્દી એક્સપ્રેસના જનરલ કોચના ટોઇલેટમાં આ વિસ્ફોટ થયો હતો. અગાઉ બુધવાર સવાલે મુંબઇમાં મીરા રોડ ખાતે પણ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેનમાં થયેલો વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હતો. વિસ્ફોટ થતાં જ ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ નાસભાગ કરી મૂકી હતી. વિસ્ફોટથી ટોઇલેટની છત ઊડી ગઇ હતી અને ધુમાડો ફેલાઇ ગયો હતો.
કાનપુર સેન્ટ્રલથી ભિવાની જઇ રહેલી કાલિન્દી એક્સપ્રેસ બર્રાજપુર સ્ટેશન પર ઊભી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. રેલવે પોલીસ અને લોકલ પોલીસ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક બોરીમાં વિસ્ફોટક રાખવામાં આવ્યો હતો.
આમ એક જ દિવસમાં પહેલા મુંબઇ પાસે અને હવે કાનપુર પાસે વિસ્ફોટ થતાં સુરક્ષા એજન્સીઓ સાવચેત થઇ ગઇ છે અને મામલાની સઘન તપાસ કરી રહી છે.