અમારા શાસનકાળમાં 'માત્ર' 405 જવાનો માર્યા ગયાઃ ભાજપ નેતાના વિવાદિત બોલ
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામા હુમલાને લઇને રાજકીય પક્ષો રાજકારણ ન કરવાના દાવા તો કરી રહ્યાં છે પરંતુ ખુદ સત્તાધારી ભાજપના પ્રવક્તાએ આ મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં ભાજપના પ્રવક્તા અમિત માલવીયએ એનડીએ સરકાર દરમિયાન શહીદ થનારા જવાનોના આંકડા રજૂ કરતી વખતે સંવેદનહીન નિવેદન આપ્યું. માલવિયએ કહ્યું કે મોદી સરકાર દરમિયાન સુરક્ષાદળોના 'માત્ર' 405 જવાન માર્યા ગયાં જ્યારે 'માત્ર' 211 સ્થાનિક નાગરિકો માર્યા ગયાં.
ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયએ કહ્યું કે કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં સેનાના પ્રભાવને વધારવામાં આવ્યો પરંતુ ત્યાંના રાજકારણીઓ, અલગતાવાદીઓ અને કેટલાંક રાજકીય પક્ષોએ પથ્થરબાજોને આગ કરી દીધાં. જોકે અમિત માલવીય એનડીએ અને યૂપીએ સરકાર દરમિયાન શહીદો અને નાગરિકોના મોતના આંકડા રજૂ કરવામાં ચૂક કરી ગયાં. તેમણે કહ્યું કે યૂપીએના 10 વર્ષના કાર્યકાળમાં સુરક્ષા દળોના 1228 જવાનો માર્યા ગયાં જ્યારે એનડીએમાં માત્ર 405 જવાનોના મોત થયાં, જે પાછલી સરકારની સરખામણીમાં 33 ટકા ઓછા છે.
માલવીયએ કહ્યું કે એનડીએ સરકાર દરમિયાન કાશ્મીરમાં માત્ર 211 સ્થાનિક નાગરિકોના મોત થયા જ્યારે યૂપીએના દસ વર્ષના કાર્યકાળમાં 1830 નાગરિકો માર્યા ગયાં.