ભારતે હુમલો કર્યો તે બાલાકોટ છે આતંકવાદીઓનુ સ્વર્ગ, જાણો વધુ
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર 50 કિલોમીટર સુધી ઘુસીને બાલાકોટને જે રીતે નિશાન બનાવ્યુ છે તેનાથી આખુ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે.
બાલોકોટ આતંકવાદીઓને તૈયાર કરવાનુ સ્વર્ગ મનાય છે.જે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પ્રાંતમાં આવેલુ છે.પાકિસ્તાનની રાજધાનીથી તે માત્ર 160 કિમી દુર છે.2005માં આવેલા ભૂકંપમાં આ શહેર તબાહ થઈ ગયુ હતુ.પાકિસ્તાની સરકારે સાઉદી અરબની મદદથી શહેરને ફરી બેઠુ કર્યુ હતુ.
બાલાકોટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક પર્વતીય વિસ્તાર છે.જે કુન્હાર નદીના કિનારે છે.સિંધુ ઘાટીની પ્રાચીન સભ્યતા ધરાવતા ચાર શહેરોમાં એક બાલાકોટ પણ છે.બહુ લાંબા સમયથી બાલાકોટ આંતકવાદી ગતિવિધિઓનુ કેન્દ્ર છે.પાકિસ્તાની શાસક જનરલ જિયા ઉલહકના સમયથી આતંકવાદીઓ બાલોકોટમાં અડ્ડો બનાવીને રહે છે.આતંકવાદીઓ અહીંયા આશરો લેતા હોવાથી તે પાકિસ્તાનના રડાર પર પણ છે.
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોને બાલાકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં વસાવવા માટેનુ કામ પાક આર્મી કરી રહી છે.ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી હતી કે અહીંયા ચાલતા કેમ્પોમાં જૈશ, હિજ્બુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના 500 આતંકીઓને તાલીમ અપાઈ રહી છે.
એક વિદેશી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે 1990થી બાલાકોટ આતંકવાદીઓનો ગઢ છે.ઈસ્લામાબાદથી અહીંયા પહોંચવામાં માંડ 4 કલાક લાગે છે.સરકારી મશીનરીના પ્રોત્સાહનથી અહીંયા આતંકવાદ ફૂલ્યો ફાલ્યો છે.બાલાકોટ જે જિલ્લામાં આવેલુ છે તે માનસેહરા જિલ્લો પીઓકેને અડીને આવેલો છે.કાશ્મીરથી તે નજીક હોવાના કારણે જ તેને આતંકવાદી પ્રવૃત્તિઓનુ કેન્દ્ર બનાવાયુ છે.
બાલાકોટમાં આતંકવાદીઓને ટ્રેનિંગ અપાય છે.અહીંયા આવેલી મસ્જીદો અને મદ્રેસાઓનો ઉપયોગ યુવાનોનુ બ્રેઈનવોશ કરવા થાય છે.શહેરની બહાર આવેલા જંગલોમાં આતંકવાદીઓને ટ્રેનિંગ અપાય છે.આ કોર્સ ચાર સપ્તાહનો હોય છે.જેમાં આતંકીઓને ગેરીલા યુધ્ધની પણ તાલીમ અપાય છે.એ પછી તેમને વિસ્ફોટકો કેવી રીતે ઓપરેટ કરવા તેનુ શિક્ષણ આપવા પીઓકેમાં મોકલાય છે.