BCCIની ICC સમક્ષ માગ, પાકિસ્તાનની જ વર્લ્ડકપમાંથી હકાલપટ્ટી કરો
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી, તા. 21. ફેબ્રુઆરી 2019 ગુરુવાર
પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશભરમાંથી માંગ ઉઠી રહી છે કે ભારત દ્વારા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવામાં આવે.
જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના કરતા પણ એક ડગલુ આગળ વધ્યુ છે.બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ તો ક્રિકેટનુ સંચાલન કરતી આંતરાષ્ટ્રિય સંસ્થા આઈસીસીને મેઈલ મોકલીને પાકિસ્તાનને જ વર્લ્ડકપમાંથી બહાર કરી દેવાની માંગ કરી છે.
બીસીસીઆઈ દ્વારા આ પહેલા બોર્ડની મુંબઈ સ્થિત હેડ ઓફિસમાંથી પાક ખેલાડીઓની તસવીરો હટાવી લેવામાં આવી છે.બીજી તરફ કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે પણ પાકિસ્તાનના વર્લ્ડ કપમાં બહિષ્કારની માંગણીને સમર્થન આપ્યુ છે ત્યારે બોર્ડે પણ આક્રમક વલણ અપનાવ્યુ છે.
એવા અહેવાલ મળી રહ્યા છે કે બોર્ડે હવે આઈસીસીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે દેશની અંદર પાક સામે નહી રમવા માટેનુ વલણ છે અને ભારત આતંકવાદના મુદ્દે કોઈ પણ પ્રકારનુ સમાધાન નહી કરે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે 16 જુને માન્ચેસ્ટરમાં મેચ રમાવાની છે.25000 બેઠકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં મેચ જોવા માટે ભારે ક્રેઝ અત્યારથી જ છે.લગભગ ચાર લાખ લોકોએ ટીકીટ માટે માંગ કરેલી છે.