કુલભુષણના ઉપજાવી કાઢેલા નિવેદનના આધારે પાક. કોર્ટે સજા કરી : ભારતની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દલીલ
- પાકિસ્તાને એક જૂઠો કેસ તૈયાર કર્યો છે
- આંતરરાષ્ટ્રીય કોર્ટ તાત્કાલિક આર્ટીકલ ૩૬ના આધારે માનવ અધિકારોનું રક્ષણ કરતો ચુકાદો આપે તેવી માગ
Updated: Feb 20th, 2019
કુલભુષણ પાકિસ્તાનમા જાસુસી કરવા ગયા હોવાના પાકિસ્તાન પાસે કોઇ જ પુરાવા નથી
નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
પાકિસ્તાને જુઠા આરોપોના આધારે ભારતીય કુલભુષણ જાધવનું અપહરણ કરીને તેને ફાંસીની સજા કરી છે. આ સજા પાકિસ્તાન સૈન્યની કોર્ટે કરી છે. હાલ આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહ્યો છે જ્યાં બન્ને દેશો વચ્ચે દલીલ ચાલી રહી છે.
દરમિયાન મંગળવારે ભારતે આ મામલે દલિલો કરી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે પાકિસ્તાને કુલભુષણ જાધવને જે ફાંસીની સજા કરી છે તેનો આધાર કોઇ જ નથી, અને માત્ર કુલભુષણ જાધવના નિવેદનને મારી મચેડીને તેને પુરાવા તરીકે સામે રાખી રહી છે.
અગાઉ પાકિસ્તાને એવી દલીલ કરી હતી કે કુલભુષણ જાધવે અમારા દેશમાં જાસુસી કરી જ છે અને અમારી પાસે પુરાવા પણ છે તેથી તેને છોડી મુકવાની ભારતની અરજીને રદ કરવામાં આવે. જોકે કોર્ટે પાકિસ્તાનની આ દલીલોનો માન્ય નહોતી રાખી.
આ સ્થિતિ વચ્ચે મંગળવારે ભારતે પણ પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ મુક્યો હતો, જેમાં એવી દલીલ કરી હતી કે હવે આંતરરાષ્ટ્રીય કોર્ટ પાસે એ સમય આવી ગયો છે કે તે આર્ટિકલ ૩૬નો ઉપયોગ કરે અને માનવ અધિકારોનું રક્ષણ કરે.
ભારતે સાથે એમ પણ કહ્યું છે કે પાકિસ્તાને કુલભુષણ જાધવના નિવેદનને તોડી મરોડીને રજુ કર્યું છે અને તેના આધારે જ બાદમાં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે તેમને ફાંસીની સજા કરી હતી. અને આ કેસની ટ્રાયલ પણ સૈન્ય કોર્ટમાં ચાલી છે સામાન્ય કોર્ટમાં નહીં, જ્યારે કુલભુષણ જાધવને પણ માનવ અધિકારોના નાતે સામાન્ય કોર્ટમાં ટ્રાયલ ચાલે તેનો સામનો કરવાનો અધિકાર છે.
આ પહેલા પાકિસ્તાને એવી દલીલ કરી હતી કે અમારી પાસે પુરતા પુરાવા છે જેના પરથી પુરવાર થાય છે કે કુલભુષણ જાધવ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હુમલા કરવા માગતા હતા. પાકિસ્તાને સોમવારે જે પણ આરોપો લગાવ્યા હતા
તેને ભારતે બીજા દિવસે મંગળવારે ફગાવી દીધા હતા અને સાથે કુલભુષણને હવે છોડી મુકવામાં આવે તેવી માગણી પણ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાનના વકીલ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેનો પણ ભારતે આક્રાક રીતે વિરોધ કર્યો હતો.