કાશ્મીરમાં સૈન્યનું 'ઓપરેશન 25', આતંકીઓની શોધખોળ ઝડપી બનાવાઇ
- પુલવામા હુમલાના અન્ય આતંકીઓ વિરુદ્ધ અભિયાન
- આઇએસઆઇ જૈશને ભંડોળ આપે છે અને મસૂદ અઝહરને સુરક્ષા પણ પુરી પડે છે
Updated: Feb 17th, 2019
આતંકીઓના હુમલા નિષ્ફળ બનાવવા ગુપ્તચર સંસ્થાઓને આદેશ
નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર
કાશ્મીરમાં સૈન્યએ ઓપરેશન ૨૫ હાથ ધર્યું છે, પુલવામામાં આતંકીઓએ જે હુમલો કર્યો તે બાદ કેટલાક આતંકીઓ નાસી છુટયા છે, જેમાં આત્મઘાતી હુમલાખોરને મદદ કરનારો આતંકી ગાઝી રાશીદ નાસી છુટયો છે.
જેને પકડવા માટે સૈન્યએ ઓપરેશન ૨૫ તૈયાર કર્યું છે. સૈન્યનું એક અનુમાન છે કે સુરક્ષાને જોતા નાસી છુટેલો આતંકી ૨૫ કિમીની અંદર જ હોઇ શકે છે. આતંકીઓને શરણ આપનારાની પણ શોધખોળ ચાલી રહી છે.
ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટ અનુસાર ગાઝી પુલવામાથી પંપોરના ૨૫ કિમીની અંદરના વિસ્તારમાં જ છુપાયો છે અને ગમે ત્યારે તે નાસવાનો પ્રયાલ પણ કરી શકે છે.
જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને પાકિસ્તાનમાંથી ફંડ ઉઘરાવવાનું વધારી દીધુ છે. આ સંગઠન અલ રહમત ટ્રસ્ટ દ્વારા આ પૈસા ઉઘરાવી રહ્યું છે. જૈશના આતંકી રઉફ અસગરે આ ફંડ ઉઘરાવ્યું હતું. આઇએસઆઇ દ્વારા પણ આ સંગઠનને મોટી રકમ આપવામાં આવી રહી છે. પુલવામા હુમલા પહેલા પણ આતંકીઓએ પૈસા એકઠા કર્યા હતા.
પુલવામા હુમલા પાછળ મુળ તો પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ જ જવાબદાર છે. આતંકીઓ માટેની લિસ્ટ એફએટીએફમાં મસૂદ અજહર પણ સામેલ છે, જોકે તેમ છતા તે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવી રહ્યો છે અને તેને સૌથી વધુ પાકિસ્તાન મદદ કરી રહ્યું છે.
કેન્દ્ર સરકારે પણ સુરક્ષા એજન્સીઓને કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટેના આદેશ આપ્યા છે. જેને પગલે હવે કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિથી લઇને સુરક્ષા સંબંધી તપાસ અભિયાન પણ વધારી દેવામાં આવશે અને એજન્સીઓ ચાંપતી નજર રાખશે. બીજી તરફ કોમવાદી વાતાવરણ ઉભુ ન થાય તે માટે રાજ્ય સરકારોને ચાંપતી નજર રાખવા કેન્દ્રએ કહ્યું છે.