જમ્મુ કાશ્મીરઃ આતંકવાદને શાહનો પડકાર, બુલેટ પ્રૂફ સુરક્ષા વગર હાજર છું, તમે બધા પણ તમારા દિલમાંથી ડર કાઢી નાખો
Updated: Oct 25th, 2021
- ફારૂખ સાહેબે ભારત સરકારને પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માગુ છુંઃ શાહ
નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર, 2021, સોમવાર
જમ્મુ કાશ્મીરના 3 દિવસના પ્રવાસે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે પ્રવાસના અંતિમ દિવસે શ્રીનગર ખાતે જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, 5 ઓગષ્ટ બાદ કર્ફ્યુ ન લગાવેત અને ઈન્ટરનેટ બંધ ન કરેત તો કાશ્મીરના યુવાનો જ મરેત. કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરવામાં આવે છે. કાશ્મીરની જનતાનો પણ એટલો જ અધિકાર છે જેટલો અમારો છે.
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું દિલ જમ્મુ કાશ્મીરમાં વસે છે અને તેઓ દરેક વખતે અહીંનો ઉલ્લેખ કરે છે. જમ્મુ કાશ્મીરના વિકાસમાં કોઈ ખલેલ નહીં નાખી શકે. પાકિસ્તાનના બદલે ઘાટીના લોકો સાથે વાત કરીશ. તેમણે બુલેટપ્રૂફ કાચ દૂર કરવાનું કહીને લોકોને કહ્યું હતું કે, સુરક્ષા વગર તમારા વચ્ચે ઉપસ્થિત છું અને તમે પણ તમારા દિલમાંથી ડર કાઢી નાખો.
આ સાથે જ તેમણે કાશ્મીરના યુવાનોને સવાલ કર્યો હતો કે, જે લોકોએ તમારા હાથમાં પથ્થર-હથિયાર પકડાવેલા તેમણે તમારૂં શું ભલું કર્યું? તેઓ તમારા સાથે ફક્ત પાકિસ્તાનની વાતો કરતા હતા. ફારૂખ સાહેબે ભારત સરકારને પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માગુ છું. મેં ઘાટીના યુવાનો સામે મિત્રતા માટેનો હાથ લંબાવ્યો છે.