30 વર્ષીય શહીદ ડીએસપી અમન ઠાકુર બે સરકારી નોકરી છોડી પોલીસમાં જોડાયા હતા
- સપ્તાહમાં આતંકીઓ સામે લડતા પોલીસ અને સૈન્યએ બે ટોચના અધિકારી ગુમાવ્યા
- આ પહેલા લગ્નની કંકોતરી છપાઇ ગઇ હતી અને મેજર ચિત્રેશસિંહ બિસ્ટ શહીદ થયા હતા
Updated: Feb 24th, 2019
શ્રીનગર, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર
કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા ડીએસપી અગાઉ બે વખત સરકારી નોકરી બદલી ચુક્યા હતા અને અંતે પોલીસમાં જોડાયા હતા. અમન ઠાકુર નામના આ ડીએસપી જ્યારે આતંકીઓ સામે લડી રહ્યા હતા ત્યારે શહીદ થઇ ગયા હતા.
માત્ર ૩૦ જ વર્ષના ડીએસપી ઠાકુર પહેલા સોશિયલ વેલફેર વિભાગમાં કામ કરતા હતા, જ્યારે બાદમાં તેઓ એક સરકારી કોલેજમાં લેક્ચરર તરીકે પણ જોડાયા હતા.
બાદમાં તેમને પોલીસમાં જોડાવાની ઇચ્છા થઇ હતી અને તેની તૈયારી કરી હતી. પરીક્ષા આપી તેઓ પાસ થઇ ગયા અને ડીવાયએસપી પદે નિમાયા હતા. તેમનું પોસ્ટિંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. જોકે માત્ર ૩૦ વર્ષની વયે જ દેશની રક્ષા કરતા કરતા અમન ઠાકુર શહીદ થઇ ગયા હતા.
સૈન્ય અને પોલીસે એક જ સપ્તાહમાં બે અતી યુવા અધિકારીઓને ગુમાવ્યા છે. આ પહેલા મેજર ચિત્રેશ સિંહ બિસ્ટ પણ વિસ્ફોટમાં શહીદ થયા હતા અને તેમના લગ્ન હતા તેવા જ સમયે તેઓ શહીદ થયા હતા.