યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો અશક્ય : AIMPLBની બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાઈ
AIMPLBની બેઠકમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ઉપસ્થિત રહ્યા
Updated: Feb 5th, 2023
લખનૌ, તા.05 ફેબ્રુઆરી-2023, રવિવાર
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા રવિવારે લખનૌમાં બેઠક યોજાઈ હતી, જેમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. બોર્ડની બેઠકમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ હતા. AIMPLBમાં AIMIMના પ્રમુખ સહિત 51 કાર્યકારી સભ્યો છે.
દેશના બંધારણમાં તમામને ધર્મનું પાલન કરવાની આઝાદી
AIMPLBના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ જણાવ્યું કે, બેઠકમાં ચર્ચા થઈ કે, તમામ વ્યક્તિઓને દેશના બંધારણમાં પોતાના ધર્મનું પાલન કરવાની આઝાદી અપાઈ છે. આમાં પર્સનલ લૉ પણ સામેલ છે. એટલા માટે સરકારે ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવી એ બિનજરૂરી કાર્ય હશે. આટલા મોટા દેશમાં ઘણા ધર્મોને માનનારા લોકો છે, તેથી આ પ્રકારનો કાયદો શક્ય નથી અને આ કાયદાથી દેશને કોઈ ફાયદો થશે નહીં. તેમણે કહ્યું કે, બોર્ડની બેઠકમાં 1991ના પ્લેસિસ ઓફ વોરશિપ એક્ટ અંગે પણ ચર્ચા થઈ અને કહેવાયું કે, આ કાયદો સરકાર દ્વારા બનાવાયેલ કાયદો છે, જેને સંસદે પાસ કર્યો છે. આ કાયદાને જાળવી રાખવાની જવાબદારી સરકારની છે. તેનાથી દેશને પણ ફાયદો થાય છે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો... પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. UCCમાં લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મોને સમાન કાયદો લાગુ પડે છે. UCC બિલમાં તમામ ધાર્મિક સમુદાયો માટે ‘એક દેશ એક નિયમ’ લાગુ કરવાનો ઉલ્લેખ છે. યુનિફોર્મ સિવિલ કોડ વિવિધ ધાર્મિક ગ્રંથો અને રિત-રિવાજો પર આધારિત પર્સનલ કાયદાને બદલે દેશના દરેક નાગરિકને લાગુ પડતો એક કાયદો છે. ભારતમાં UCC લાગુ નથી, પરંતુ મોટા ભાગના પર્સનલ કાયદાઓ ધર્મના આધારે નક્કી કરાયા છે. હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધો પાસે પર્સનલ કાયદા છે, જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પાસે પોતાના કાયદા છે. મુસ્લિમોનો કાયદો શરિયત પર આધારિત છે જ્યારે અન્ય ધાર્મિક સમુદાયોના કાયદા ભારતીય સંસદના બંધારણ પર આધારિત છે.