રફાલ વિમાન ઓછી ઊંચાઈએ ઉડાડી વિંગ કમાન્ડરને એરફોર્સની શ્રધ્ધાંજલિ
- બેંગાલુરૂમાં એરો શોમાં ૬૧ વિમાન પ્રદર્શિત
Updated: Feb 21st, 2019
બેંગાલુરૂ, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
બેંગાલુરૂ ખાતે આજે સવારે પાંચ દિવસીય દ્વિ-વાર્ષિક એરો ઈન્ડિયા ર૦૧૯નો પ્રારંભ થયો હતો. ગઈ કાલે આ એર-શોના પ્રારંભ પૂર્વે હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિકસ ટીમના બે વિમાનો આકાશમાં ટકરાતા વિંગ કમાન્ડર સાહીલ ગાંધી શહીદ થતા આજે આ એર-શોના પ્રારંભે લડાયક રાફેલ વિમાન તેની સામાન્ય ઉંચાઈ કરતા ઓછી ઉંચાઈએ ઉડાડીને શહીદને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી તેમ ન્યુઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું.
એરો શોના પ્રારંભ પૂર્વે રિહર્ષલ વેળાએ હવાઈ દળની સૂર્ય કિરણ એરોબેટિકસ ટીમ ગઈ કાલે પોતાના કરતબ બતાવતી હતી ત્યારે આકાશમાં બે વિમાન ટકરાયા હતા જેમાં વિંગ કમાન્ડર સાહીલ ગાંધી શહીદ થયા હતા અને અન્ય બે પાઈલોટ ઈજા સાથે સલામત બહાર નીકળી ગયા હતા.
આજના આ એરો શોમાં સૂર્ય કિરણ એરોબેટિકસ ટીમ જોડાઈ ન હતી. સવારના સમયે રક્ષા મંત્રી નિર્મલા સીતારામને એશિયાના પ્રિમિયર એર-શોની આવૃતિનો પ્રારંભ કરાવી ભારતમાં હવાઈ જહાજ અને લશ્કરી સરંજામ ઉત્પાદન માટે રોકાણકારોએ આવકાર્યા હતા.
સરકારના ભારત નિર્માણ કાર્યક્રમ હેઠળ સંરક્ષણ સાધનોના નિર્માણ માટે ૧૦૦ ટકા એફડીઆઈ રોકાણકારો માટે સારી તક છે. ધ એરો ઈન્ડિયાની અધિકૃત વેબાઈટમાં જણાવ્યા મુજબ આ શોમાં ૬૧ વિમાનો રજૂ કરાયા છે અને ૪૦૩ પ્રદર્શનકારોએ ભાગ લીધો છે.