સુપ્રીમ રફાલ સોદા અંગેના ચુકાદાની સમીક્ષાની અરજી સાંભળવા સંમત
- ૧૪મી ડિસેમ્બરે અરજી કાઢી નાખી હતી
- અરજદાર યશવંત સિંહાએ સરકારી અધિકારીએ સુપ્રીમને ગેરમાર્ગે દોરી હોવાના આક્ષેપ સાથે નવી અરજી કરી
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
રફાલ સોદા સામે થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરની ૧૪મીએ કાઢી નાખી હતી. આ અરજીમાં યશવંત સિંહા, અરૃણ શૌરી અને પ્રશાંત ભૂષણની અરજીનો સમાવેશ થતો હતો. તેમણે રફાલમાં ૫૮૦૦ કરોડના સોદામાં શંકા વ્યક્ત કરી સીબીઆઇની તપાસ માગી હતી. સુપ્રીમે તેમની અરજી કાઢી નાખી હતી.
આજે અરજદાર ભૂષણે અલગ અરજી કરી સુપ્રીમના ચુકાદાની ફેરવિચારણા કરવા માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ સુપ્રીમમાં સરકારી અધિકારીઓએ ઘણી ગેરમાર્ગે દોરતી વાત રજૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની બનેલી બેંચે આ અરજીની સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી. સુપ્રીમે જણાવ્યા મુજબ ૧૪મી ડિસેમ્બરે અરજી કાઢી નાખનાર બેંચમાં અન્ય જજો હતા અને હવે આ ચુકાદો અન્ય બેંચ પાસે છે.
યશવંત સિંહા, શૌરી, ભૂષણ ઉપરાંત બે અન્ય વકીલોએ પણ રફાલના સોદાને પડકાર્યો હતો.ચુકાદા બાદ કેન્દ્રે પણ ચુકાદામાં સુધારો કરવાની અરજી કરી હતી. ત્યારબાદ ત્રણે અરજદારે સરકારી અધિકારી પર સીલબંધ કવરમાં ગેરમાર્ગે દોરનારી માહિતી આપવાના આક્ષેપ સાથે અરજી કરી હતી.