નાર્કો ટેસ્ટમાં ખૂલ્યા શ્રદ્ધાની હત્યા અને ખંડણી સહિતના અનેક રહસ્યો
બે કલાક ચાલ્યો આફતાબનો નાર્કો ટેસ્ટ
આફતાબે હત્યા અને લાશના ટુકડા કર્યાની કરી કબૂલાત
Updated: Dec 2nd, 2022
નવી દિલ્હી, તા.02 ડિસેમ્બર-2022, શુક્રવાર
શ્રદ્ધા વાલ્કર હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ બે કલાક લાંબા નાર્કો ટેસ્ટમાં તેની ગર્લફ્રેન્ડની બર્બર હત્યાની વાત કહી. જો કે, ફોરેન્સિક અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ, સૂત્રોનો દાવો છે કે, આફતાબે હત્યા અને લાશના ટુકડા કર્યાની કબૂલાત કરી છે. શ્રદ્ધા વાલ્કર હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ ગુરુવારે રોહિણી સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં નાર્કો ટેસ્ટ કરાવ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલો નાર્કો ટેસ્ટ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો.
એફએસએલ અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરીમાં ટેસ્ટ દરમિયાન આફતાબને ઘણા પ્રશ્નો અને જવાબો પૂછવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, તેને 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં શ્રદ્ધાની હત્યા અને મૃતદેહના ઠેકાણા સહિત ઘણા રહસ્યો ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગાઢ નિંદ્રામાં આફતાબને વારંવાર થપ્પડ મારીને જગાડવામાં આવતો હતો અને પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવતું હતું. બપોરે 12.00 વાગ્યાની આસપાસ નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો હતો. બાદમાં લગભગ એક કલાક સુધી તેને ઓબ્ઝર્વેશન રૂમમાં મોકલવામાં આવ્યો હતો. તે પછી તેણે ફરીથી મેડિકલ કરાવ્યું. બાદમાં, લગભગ 1.00 વાગ્યે, તેમને કડક સુરક્ષા વચ્ચે તિહાર જેલમાં પાછો મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે.
રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. તેના આધારે કોર્ટ કાર્યવાહી કરે છે. એફએસએલના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. સંજીવ ગુપ્તાએ જણાવ્યું કે, શુક્રવારે તેમનો પોસ્ટ નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે. આ ટેસ્ટ નાર્કો ટેસ્ટની પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે. આફતાબના જવાબોનું વિશ્લેષણ કર્યા પછી, રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં સબમિટ કરવામાં આવશે.
શ્રદ્ધા મર્ડર કેસ બાદ આફતાબે બમ્બલ ડેટિંગ એપ દ્વારા મનોચિકિત્સક મહિલા સાથે મિત્રતા કરી હતી. 2 ઓક્ટોબરે પહેલીવાર મહિલા છતરપુરમાં આફતાબના ફ્લેટ પર પહોંચી હતી. તેને ખબર ન હતી કે, તે સમયે આરોપીએ શ્રદ્ધાનું માથું અને ધડ ફ્રીજમાં રાખ્યું હતું. બાદમાં જ્યારે મહિલા 12 ઓક્ટોબરે ફરી ત્યાં પહોંચી ત્યારે આરોપીએ તેને શ્રદ્ધાની વીંટી ભેટમાં આપી હતી. જે પોલીસે પરત મેળવી લીધી છે. મહિલાનું કહેવું છે કે, તે આફતાબને માત્ર બે વાર મળી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આફતાબના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. પોલીસ તેમને પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.