આતંકવાદી હુમલાની તરફેણ કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓ સામે દેશભરમાં કાર્યવાહી
Updated: Feb 17th, 2019
નવી દિલ્હી, તા. 17. ફેબ્રુઆરી 2019 રવિવાર
પુલવામા હુમલા બાદ આખા દેશમાં જ્યારે રોષ અને શોકની લાગણી હતી ત્યારે દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ આતંકવાદી હુમલાના સમર્થનમાં કરેલી પોસ્ટના કારણે લોકોનો ગુસ્સો બેવડાયો હતો.
સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓએ આવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે.જેમ કે જયપુર ખાતેની NIMS યુનિવર્સિટીમાં ચાર કાશ્મીર વિદ્યાર્થિનીઓએ આતંકવાદી હુમલાને સેલિબ્રેટ કરતી પોસ્ટ મુકી હતી.એ પછી તેમને યુનિવર્સિટીએ દરવાજો બતાવી દીધો છે.
બેંગ્લોરમાં રીવા યુનિવર્સિટીના એક કાશ્મીરી વિદ્યાર્થીને આત્મઘાતી હુમલો કરનાર કાશ્મીરી આતંકવાદીની પ્રશંસા કરવાના આરોપસર અટકાયતમાં લેવાયો છે.
દહેરાદૂનમાં પણ કાશ્મીરના 19 વર્ષના વિદ્યાર્થીને આલ્પાઈન ઈન્સ્ટિટ્યુટ નામની સંસ્થાએ હાંકી કાઢ્યો છે.તેણે સોશ્યલ મીડિયા પર આતંકવાદીની તસવીર શેર કરી હતી.
યુપીમાં પણ પુલવામા હુમલાનુ સમર્થન કરનારા ચારની ધરપકડ કરાઈ છે.અમદાવાદની એક દવા કંપનીએ શ્રીનગર સ્થિત પોતાના કર્મચારીને આતંકવાદી હુમલાને રિયલ સર્જિકલ સ્ટ્રાઈક ગણાવતી પોસ્ટ મુકવા બદલ નોકરીમાંથી કાઢી મુક્યો છે.