ગુજરાતમાં AAPની સરકાર બની રહી છે તેવા IB રિપોર્ટથી ભાજપમાં ભૂકંપઃ કેજરીવાલનો દાવો
નવી દિલ્હી, તા. 2. ઓક્ટોબર, 2022 રવિવાર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેવુ આઈબીનો રિપોર્ટ કહે છે.
તેમણે કહ્યુ હતુ કે, આ રિપોર્ટ બાદ ભાજપમાં હડકંપ મચી ગયો છે.આપને રોકવા માટે ભાજપે પાછલા દરવાજે કોંગ્રેસ સાથે વાતચીત શરુ કરી દીધી છે.આઈબીનો રિપોર્ટ કહી રહ્યો છે કે, આજે જો ચૂંટણી યોજાય તો ગુજરાતમાં ભાજપને ભારે ફટકો પડે તેમ છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, નજીવી સરસાઈ સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી જીતી રહી છે અને તેમણે ગુજરાતની જનતાને આગ્રહ કર્યો હતો કે, દેશના અનેરાજ્યના હિતમાં જીતનુ અંતર વધારો.જેથી પાર્ટીને બહુમતી મેળવવામાં આસાની થાય.
મીડિયા સાથે વાતચીતમાં કેજરીવાલે કહ્યુ હતુ કે, આઈબીનો રિપોર્ટ જોયા બાદ ભાજપમાં ભૂકંપ આવી ગયો છે.ચૂંટણીની રણનીતિ ઘડનારા પણ એવુ જાણવા માંગે છે કે આખરે કેવી રીતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભાજપના ઘરમાં ઘૂસીને ભાજપને ધોબીપછાડ આપવાની સ્થિતિ હાંસલ કરી છે.આપને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો થઈ રહી છે.ભાજપે એન્ટી ભાજપ વોટને ડાયવર્ટ કરવા માટે તૈયારીઓ શરુ કરી છે અને કોંગ્રેસને આ માટે અંદરખાને મદદ કરવાનુ શરુ કર્યુ છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં સરકાર બનતા જ ગાયો માટે વિશેષ રોજનુ 40 રુપિયા ભથ્થુ સરકાર આપશે.ભાજપ ગુજરાતના લોકોમાં ભ્રમ પેદા કરવા માટે તમામ પ્રકારના હથકંડા અપનાવી શકે તેમ છે.માટે ગુજરાતના લોકોએ સાવધ રહેવાની જરુર છે.