વંદે ભારત એક્સપ્રેસ સાથે વધુ એક દુર્ઘટના, પથ્થરમારાના કારણે બારીઓના કાચ તૂટયા
- અન્ય ટ્રેન પર થઈ રહેલા હૂમલાની ચપેટમાં આવી
- ડ્રાઈવરના મુખ્ય કાચ ઉપરાંત અન્ય સાત બારીના કાચ તૂટયા
Updated: Feb 24th, 2019
નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર
દેશની સુપર ફાસ્ટ અને લક્ઝરી ટ્રેનો પૈકીની એક વંદે ભારત એક્સપ્રેસ સાથે વધુ એક દુર્ઘટના ઘટી છે. આ કારણે ટ્રેનની ડ્રાઈવરની સ્ક્રીન અને અન્ય કેટલીક બારીઓના કાચને ક્ષતિ પહોંચી છે.
વંદે ભારત એક્સપ્રેસ શનિવારે વારાણસીથી દિલ્હી આવી રહી હતી ત્યારે પથ્થરમારાના કારણે ડ્રાઈવરની મુખ્ય બારી ઉપરાંત અન્ય કેટલીક બારીઓના કાચને નુકસાન પહોંચ્યું છે.
અન્ય એક ટ્રેન પર થઈ રહેલા પથ્થરમારાની ચપેટમાં આવવાના કારણે વંદે ભારત ટ્રેનને પણ નુકસાન થયું હતું. ઉત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના અછાલા વિસ્તારમાં બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી ડિબુ્રગઢ રાજધાની નીચે એક ઢોર કચડાઈ મર્યુ હતું.
આ કારણે ઉશ્કેરાયેલા લોકો રાજધાની પર પથ્થરમારો કરી રહ્યા હતા અને વંદે ભારત એક્સપ્રેસ તેની ચપેટમાં આવી ગઈ હતી. પથ્થરમારાના કારણે ટ્રેનના ડ્રાઈવરની મુખ્ય બારીના કાચ ઉપરાંત કોચ નંબર સી૪, સી૬, સી૭, સી૮ તથા સી૧૩ના બહારના કાચ અને સી૧૨ના કાચની બે પેનલને નુકસાન થયું છે.
રેલ્વે દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ આ ઘટના બાદ ટ્રેનમાં ઉપસ્થિત તકનીકી કર્મચારીઓએ નુકસાનનો અંદાજ મેળવીને ટ્રેન આગળની યાત્રા માટે યોગ્ય હોવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ ટ્રેને પોતાની સામાન્ય ગતિથી આગળની યાત્રા પૂર્ણ કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન દિલ્હી માત્ર પાંચ મિનિટ મોડા એટલે કે ૧૧:૦૫ કલાકે પહોંચાડયા હતા.