દિલ્હીમાં છેલ્લા દસ દિવસમાં સ્વાઇન ફ્લૂના 700 નવા કેસ : કુલ કેસ 1965
- વર્ષમાં પાટનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે થયેલા મોતનો આંકડો છ થયો
Updated: Feb 18th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
પાટનગર દિલ્હીમાં છેલ્લા દસ દિવસમાં સ્વાઇન ફલુના ૭૦૦ ઉપરાંત નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ચાલુ વર્ષમાં H1N1 વાયરસના અસરગ્રસ્તોની સંખ્યા ૧૯૬૫ પર પહોૅચી હતી.
આરોગ્ય વિભાગના ડાયરેકટર જનરલના રિપોર્ટ મુજબ, ચાલુ વર્ષમાં આ બીમારીના કારણે ગુજરી ગયેલા લોકોની સંખ્યા છ થઇ હતી. શહેરમાં સાતમી ફેબુ્રઆરી સુધી ૧૧૯૬ કેસો નોંધાયા હતા અને સોમવારે H1N1 વાયરસના અસરગ્રસ્તોની સંખ્યા ૧૯૬૫ થઇ હતી.
કો મોરિબીડીટી (વિકૃત મનોદશા)ના કારણે પાંચ વધુ લોકોનો મોત થયાનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષે સ્વાઇન ફલુના કારણે ગુજરી ગયેલા છ જણામાં એક દિલ્હીનો રહેવાસી હતો અને બાકીનાઅન્ય રાજ્યોના હતા. શહેરમાં વધી રહેલા H1N1 વાયરસના કેસો વચ્ચે દિલ્હી સરકારે તાજેતરમાં નાગરિકોએ શું કરવું અને શું ના કરવું તેની માર્ગદર્શિકા બહાર પાડી હતી.
લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના વડા ડો. કિશોર સિંહે કહ્યું હતું કે અમારી હોસ્પિટલ સ્વાઇન ફલુના કેસોની સારવાર કરવા સુસજ્જ છે અને તમામ પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ હોય છે.
જો કે કેન્દ્ર દ્વારા સંચાલીત બે હોસ્પિટલોમાં ચાલુ વર્ષે સ્વાઇન ફલુના કારણે ૧૩ લોકોના મોત નોંધાયા હતા.
સફદરજંગ હોસ્પિટલના વરિષ્ઠ અધિકારી અનુસાર, ચાલુ મોસમમાં તેમને ત્યાં સ્વાઇન ફલુના કારણે માર્યા ગયેલા દર્દીઓની સંખ્યા ત્રણ હતી તો રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં આ રોગે દસ લોકોના ભોગ લીધા હતા જેમાં નવ જણા પાટનગરના જ હતા.