હિમાચલમાં હિમસ્ખલનને કારણે સેનાના 6 જવાનોનાં મોત થયા હોવાની ભીતિ
હિમાચલમાં બરફ વર્ષા: મનાલીમાં માઇનસ 0.6 ડિગ્રી તાપમાન
એક જવાનનો મૃતદેહ મળી આવ્યો જ્યારે અન્ય પાંચ જવાન હજુ પણ લાપતા
Updated: Feb 20th, 2019
(પીટીઆઇ) શિમલા, તા. ૨૦
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ચીન-ભારત સરહદે હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના ૬ જવાનોનાં મોત થયા હોવાની શક્યતા છે.
કિન્નોરના ડેપ્યુટી કમિશનર ગોપાલ ચાંદે જણાવ્યું હતું કે એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય પાંચ જવાનો લાપતા છે.
કિન્નોરના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સાક્ષી વર્માના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા જવાનની ઓળખ ૪૧ વર્ષીય રમેશકુમાર તરીકે કરવામાં આવી છે. તે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઘુમરપુર ગામના રહેવાસી હતાં. આ જવાન સેનાની ૭ જેએકે રાયફલ સાથે સંકળાયેલો હતો.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને પગલે શિમલાના કૂફ્રી અને મનાલીમાં મોટા પાયે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. કૂફ્રીમાં માઇનસ ૧.૬ ડિગ્રી અને મનાલીમાં માઇનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
લાહોલ અને કિલોંગ માઇનસ ૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડા સ્થળો રહ્યાં હતાં. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરૃવાર સુધી રાજ્યમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે કલાકો સુધી ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતાં.
કાશ્મીર ખીણના પ્રવેશ દ્વાર ગણાતા જવાહર ટનલ પાસે ૬ ઇંચ બરફ પડતા જમ્મુ-શ્રીનગર હાઇવે પર વિક્ષેપ ઉભો થયો હતો.