દેશમાં પાંચ વર્ષમાં આઇઇડી વિસ્ફોટોમાં 57 ટકાનો વધારો: કાશ્મીરમાં સૌથી વધુ
- માત્ર કાશ્મીરમાં જ ૨૦૧૭માં ૭૦ જ્યારે ૨૦૧૮માં ૧૧૭ આઇઇડી વિસ્ફોટ થયા
- ૨૦૧૭માં દેશભરમાં આઇઇડી વિસ્ફોટની ૨૪૪ ઘટના, ૬૧ લોકોનાં મોત
Updated: Feb 17th, 2019
નક્સલીઓ કરતાં આતંકીઓ દ્વારા થતાં આઇઇડી વિસ્ફોટનું પ્રમાણ વધ્યું, આતંકીઓના નિશાના પર સૈન્ય વધુ
નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર
કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલના તાજેતરના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આઇઇડી વિસ્ફોટમાં ૫૭ ટકાનો વધારો સામે આવ્યો છે. જેમ કે કાશ્મીરમાં ૨૦૧૪માં વિસ્ફોટની ૩૭ ઘટના સામે આવી હતી, ૨૦૧૫માં તેમાં વધારો થયો હતો અને ૪૬ વિસ્ફોટ થયા, તેવી જ રીતે ૨૦૧૬માં ૬૯, ૨૦૧૭માં ૭૦ અને સૌથી વધુ ૨૦૧૮માં ૧૧૭ વિસ્ફોટ થયા હતા.
નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (એનબીડીસી) દ્વારા આ અંગે એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. એનએસજીની બે દિવસની દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં આ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
જોકે નક્સલ પ્રભાવીત રાજ્યોમાં પણ આ જ પ્રકારના વિસ્ફોટની ઘટના પણ સામે આવતી હોય છે, પણ કાશ્મીરમાં તેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૭માં દેશભરમાં આઇઇડી વિસ્ફોટની ૨૪૪ ઘટના સામે આવી હતી જેમાં ૬૧ લોકોના મોત નિપજ્યા હતા.
જોકે ગયા વર્ષે આ પ્રકારના વિસ્ફોટની કુલ ૧૭૪ ઘટના સામે આવી હતી પણ સૌથી વધુ ૧૦૮ લોકોના મોત નિપજ્યા હતા. આતંકીઓમાં આ પ્રકારના બોમ્બ બનાવવા અને તેનો ઉપયોગ કરવામાં વધારો થઇ રહ્યો છે.
કાશ્મીરની જેમ જ ઉત્તર પૂર્વી રાજ્યોમાં પણ આઇઇડી વિસ્ફોટની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ કે એલડબ્લ્યુઇ એટલે કે લેફ્ટ વિંગ એક્સ્ટ્રિમિઝમ ડિવિઝન વિસ્તારમાં ૫૫ લોકો વિસ્ફોટોમાં માર્યા ગયા હતા. તેવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે.
જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને અન્ય સુરક્ષાની ટૂકડી આતંકીઓના નિશાના પર વધુ રહે છે, આતંકીઓ આ પ્રકારના હુમલા માટે આઇઇડીનો ઉપયોગ કરી રહ્યા છે. નક્સલ પ્રભાવીત વિસ્તારોમાં પણ આ જ પ્રકારના વિસ્ફોટ વધી રહ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી તેનું પ્રમાણ કાશ્મીરમાં થઇ રહેલા વિસ્ફોટની સરખામણીએ ઓછુ છે.