દેશમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૬૩ શહેરોમાં રહે છે ૪૩ ટકા સુપર રીચ, આ શહેરમાં સૌથી વધુ વધ્યા
દેશના આર્થિક વિકાસમાં મધ્યમવર્ગ આપી રહયો છે મોટો ફાળો
મુંબઇમાં ૨.૭ લાખ જયારે દિલ્હીમાં ૧.૮ લાખ સુપર રીચ પરીવાર
Updated: Dec 2nd, 2022
નવી દિલ્હી,૨ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર
થિંક ટેંક પીપલ્સ રિસર્ચ ઓન ઇન્ડિયાઝ કન્ઝયૂમર ઇકોનોમી દ્વારા ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૬૩ શહેરોનો એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે કુલ વસ્તીમાં ૨૭ ટકા લોકો મધ્યમવર્ગ છે જેમની વાર્ષિક આવક ૫ લાખથી માંડીને ૩૦ લાખ રુપિયા સુધીની છે. સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશની કુલ આવકનો ૨૯ ટકા હિસ્સો આ શહેરોમાંથી જ આવે છે.
આ ઉપરાંત નવાઇની વાત તો એ છે કે દેશમાં સુપર રીચમાં ૪૩ ટકા આ શહેરોમાંથી આવે છે. જેની વાર્ષિક આવક ૨ કરોડ કરતા વધારે હોય તેમનો સમાવેશ સુપર રીચમાં થાય છે. એટલું જ નહી ૬૩ શહેરોની કુલ ખર્ચમાં ૨૭ ટકા જયારે કુલ બચતમાં ૩૮ ટકા હિસ્સેદારી ધરાવે છે. કોરોનાકાળમાં પછી દુનિયામાં ભારતનો વિકાસ દર સૌથી ઝડપથી થઇ રહયો છે. દેશનો મધ્યમવર્ગ દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપી રહયો છે.
સર્વમાં જણાવ્યા અનુસાર ગુજરાતના સૂરત શહેરમાં સૌથી વધુ સુપર રીચ વધી રહયા છે. સૂરતમાં ૨૦૧૫ થી ૨૦૨૧ સુધીના ગાળા દરમિયાન ધનવાનો ઝડપથી વધ્યા છે. બીજા ક્રમે બેંગ્લોર અને ત્રીજા ક્રમે અમદાવાદ અને નાસિકનો સમાવેશ થાય છે. ચૌથા ક્રમે ચેન્નાઇ, પાંચમા ક્રમે પુણે, છઠ ક્રમે કોલકાતા, સાતમા નંબરે નાગપુર, આઠમા ક્રમે મુંબઇ અને ૧૦માં ક્રમે દિલ્હીમાં સુપર રીચ લોકોની સંખ્યામાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઇમાં ૨.૭ લાખ જયારે દિલ્હીમાં ૧.૮ લાખ સુપર રીચ પરીવાર છે. સૂરત શહેરમાં ૩૧ હજાર સુપર રીચ પરીવાર છે જે ઓછા સમયમાં વધ્યા છે. જેની વાર્ષિક આવક ૧.૨૫ લાખ કરતા ઓછી હોય તેવા લોકો ૬૩ શહેરોમાં ૨ ટકા જેટલા છે. આ શહેરોમાં ૫૫ ટકા મધ્યમ વર્ગ રહે છે. આ ઉપરાંત ૩૨ ટકાની આવક ઓછી છે. નાગપુર, અમદાવાદ, કોલકાતા, સૂરત અને નાસિકમાં ૪૦ ટકાથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે.